નવરાત્રી ટાણે ટામેટાંએ ખોરવ્યું બજેટ, ભાવ સાંભળી ચોંકી જશો…

મુંબઈ: નવરાત્રીનો પવિત્ર પર્વ ચાલી રહ્યો છે અને એવા ટાણે તહેવારના અન્ય ખર્ચાઓ માથે હોય છે એવામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તેમાં પણ ખાસ કરીને ટામેટાંના ભાવો વધી જતા ગૃહિણીઓએ પોતાનું કિચનનું બજેટ સાચવવું મુશ્કેલ બન્યું છે.
20 સપ્ટેમ્બર સુધી 50 રૂપિયે કિલોના ભાવે મળી રહેલા ટામેટાંના ભાવ હવે વધીને 80 રૂપિયે કિલો થઇ ગયા છે. એટલે કે માર્કેટમાં મળતા ટામેટાંના ભાવોમાં પ્રતિ કિલો ત્રીસ રૂપિયાનો સરેરાશ વધારો જોવા મળ્યો છે.
હૉલસેલ અને રિટેલ બંને માર્કેટમાં ટામેટાંના ભાવ વધી ગયા છે. ગણેશોત્સવ દરમિયાન વાશીના એપીએમસી(એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી)માં ટામેટાં 20થી 25 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેંચાઇ રહ્યા હતા, જે હવે 40થી 50 રૂપિયે પ્રતિ કિલો થઇ ગયા છે. જેને પગલે રિટેલ માર્કેટમાં પણ ટામેટાંની કિંમતમાં વધારો થયો છે અને અંધેરી, બાંદ્રા(વેસ્ટ), બોરીવલી(વેસ્ટ), વિક્રોલી અને મલાડ જેવા વિસ્તારોમાં તે 70થી 80 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેંચાઇ રહ્યા છે.
હીટવેવ, ચોમાસાના આગમનમાં મોડું થવું, વધુ પડતો વરસાદ જેવા વિવિધ પરિબળોના કારણે ટામેટાંના પાકને નુકસાન થયું હોવાથી તેની આવક ઘટી છે અને આ જ કારણોસર તેની કિંમતોમાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું.