નવી મુંબઈની કોર્ટે 2015ના બળાત્કારના કેસમાં શખસને નિર્દોષ છોડ્યો

થાણે: નવી મુંબઈની કોર્ટે બળાત્કાર અને ગુનાહિત ધાકધમકીના આરોપનો સામનો કરી રહેલા 48 વર્ષના શખસને નિર્દોષ જાહેર કર્યો હતો અને નોંધ્યું હતું કે તેે મહિલા સાથે સંમતિથી સંબંધમાં હતો અને તેમણે સમજૂતી કરી લીધી હતી.
બેલાપુર કોર્ટના એડિશનલ સેશન્સ જજ સી.વી. મરાઠેએ હરેકૃષ્ણ રામચંદ્ર સાહનીને નિર્દોષ જાહેર કર્યો હતો, જેના પર 2015માં ગુનો દાખલ કરાયો હતો.
તપાસકર્તા પક્ષે આરોપ કર્યો હતો કે સાહનીએ મહિલાની આર્થિક તંગીનો લાભ લીધો હતો અને તેની વારંવાર જાતીય સતામણી કરી હતી.
તપાસકર્તા પક્ષે જણાવ્યું હતું કે મહિલાએ 2010માં આરોપી પાસેથી 20 હજાર રૂપિયા ઉછીના લીધા હતા અને તે રૂપિયા પાછા ચૂકવી શકી નહોતી ત્યારે સાહનીએ કથિત રીતે જાતીય સંબંધ બાંધવા તેના પર દબાણ કર્યું હતું.
વધુમાં આક્ષેપ કરાયો હતો કે આ વાતની કોઇને જાણ કરતાં મહિલાના પતિને મારી નાખવાની ધમકી સાહનીએ મહિલાને આપી હતી અને નવેમ્બર, 2015 સુધી જાતીય શોષણ ચાલુ રાખ્યું હતું. મહિલાએ આખરે પતિને જાણ કરી હતી અને બાદમાં પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
ટ્રાયલ દરમિયાન મહિલાની જુબાનીએ સૂચવ્યું હતું કે સંબંધ જબરજસ્તીથી બાંધવામાં આવ્યા નહોતા. જજે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે ઊલટતપાસમાં મહિલાએ ખુલાસો કર્યો હતો કે જાતીય સંબંધ બાંધતા પહેલા આરોપી દ્વારા તેની સંમતિ લેવામાં આવી હતી અને તેણે કોર્ટની બહાર આ મામલે સમજૂતી કરી લીધી હતી. (પીટીઆઇ)
આપણ વાંચો: મુંબઈના વિશ્વવિખ્યાત ડબ્બાવાળા ચૂંટણીમાં કોને સમર્થન આપશે?



