આમચી મુંબઈ

મુમ્બ્રા ટ્રેન દુર્ઘટનાઃ જાણો છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા પ્રવાસીઓએ અકસ્માતમાં ગુમાવ્યા જીવ?

મુંબઈઃ મુંબઈની ‘લાઈફલાઈન’ ગણાતી લોકલ ટ્રેનો હવે મૃત્યુના પાટા પર દોડી રહી છે. મુંબઈ લોકલ ટ્રેનમાં વિવિધ અકસ્માતમાં રોજના સાત પ્રવાસી મોતને ભેટે છે, પરંતુ ઝીરો એક્સિડન્ટ માટે રેલવેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. મુમ્બ્રામાં ચાલતી ટ્રેનમાંથી પ્રવાસીઓ પડ્યા પછી ચાર પ્રવાસીના મોત પછી ફરી મુંબઈ રેલવેમાં પ્રવાસીઓની સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે, ત્યારે એક આરટીઆઈમાં પ્રવાસીઓના અકસ્માત અંગે ચોંકાવનારા ડેટા આપ્યા છે.

મુમ્બ્રા સ્ટેશન પર થયેલા અકસ્માત પર સવાલો ઊભા થઈ રહ્યા છે. અકસ્માત સંદર્ભમાં એક આરટીઆઈ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં મુંબઈ લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતા 7,560 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 7,293 ગંભીર રીતે ઘાયલ થયા છે. મુંબઈ રેલવે પોલીસ (GRP) દ્વારા RTI હેઠળ આપવામાં આવેલી માહિતીમાં આ વાત સામે આવી છે. સસ્તી, ઝડપી અને સુલભ લોકલ મુસાફરી હવે જોખમી બનતી જાય છે. ભીડ, મર્યાદિત લોકલ ટ્રીપ, અપૂરતી સુવિધાઓ, સ્ટેશનના પ્રવેશદ્વાર પર સુરક્ષાનો અભાવ અને ટ્રેક નજીક બેરિકેડિંગનો અભાવ લોકલ ટ્રેન અકસ્માતોનું કારણ બને છે.

રેલવે એક્ટિવિસ્ટ સમીર ઝવેરીના જણાવ્યા મુજબ મધ્ય રેલવે રૂટ પર સૌથી વધુ અકસ્માતો થાણે અને કલ્યાણ વચ્ચે થયા છે. 2024માં થાણે અને કલ્યાણ GRPમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા હતા. કુલ 387 લોકો મૃત્યુ પામ્યા હતા અને 788 લોકો ઘાયલ થયા હતા. એકલા કલ્યાણમાં ૧૧૬ લોકો મૃત્યુ પામ્યા હતા અને 157 લોકો ઘાયલ થયા હતા, જ્યારે થાણેમાં 68 લોકો મૃત્યુ પામ્યા હતા અને 107 લોકો ઘાયલ થયા હતા. આમાંના મોટાભાગના કિસ્સાઓમાં લોકો ચાલતી ટ્રેનમાંથી પડી જવાથી મૃત્યુ પામ્યા હતા.

મધ્ય રેલવેમાં ટ્રેનની સર્વિસ વધારવાની સાથે પંદર કોચની સર્વિસ વધારવાનું જરુરી છે, જ્યારે એના અગાઉ અઢાર કોચની ટ્રેન સર્વિસ દોડાવવાની યોજના હતી અને આરડીએસઓએ 2008-2009માં મંજૂરી આપી હતી, પરંતુ એના પછી ટ્રેન દોડાવવાની યોજના અંગે નક્કર પગલા ભર્યા નથી, જેનું આશ્ચર્ય છે. એટલું જ નહીં, મધ્ય રેલવેમાં પંદર કોચની ટ્રેન હવે દાદર-કલ્યાણ કોરિડોરમાં દોડાવાય છે, જે અગાઉ કલ્યાણ સીએસએમટી વચ્ચે દોડાવતા હતા, એમ એક્ટિવિસ્ટે દાવો કર્યો હતો.

આ પણ વાંચો -‏‏‎ મુંબ્રા રેલવે દુર્ઘટના: ઘાયલ બે પ્રવાસીની હાલત ગંભીર, ત્રણની સર્જરી કરાઇ

રેલ પ્રવાસી સંગઠનના પ્રમુખે જણાવ્યું હતું કે એક તરફ મુંબઈની લોકલ ટ્રેનો દરરોજ લાખો મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડી રહી છે, તો બીજી તરફ આ આંકડા વહીવટીતંત્રની બેદરકારીનો પુરાવો છે. પ્રવાસીઓની સલામતી વ્યવસ્થાનો અભાવ, ટ્રેનોની સંખ્યામાં કોઈ વધારો નહીં અને સિગ્નલિંગ સિસ્ટમમાં ખામીઓને કારણે મુંબઈ લોકલ ટ્રેનોમાં મુસાફરી અસુરક્ષિત બની ગઈ છે, જેથી પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે યોગ્ય ઉપાય લે એ જરુરી છે, એમ તેમણે જણાવ્યું હતું. મુંબઈ રેલવેમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આ પ્રમાણે અકસ્માત થયા હતા

વર્ષ મધ્ય રેલવે (મૃત્યુ/ઘાયલ) પશ્ચિમ રેલવે (મૃત્યુ/ઘાયલ)
2024 1533/1655 935/1042
2023 1650/1466 940/975
2022 1585/1153 922/1002
કુલ 4768/4274 2792/3019

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button