બે દિવસમાં જ જળાશયોમાં ૧૦ ટકાથી વધુ પાણી જમામાત્ર ૪૮ કલાકમાં ૩૨ દિવસનું પાણી જમા…
જળાશયોમાં ૨૧૮ દિવસ ચાલે એટલું પાણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે અને પાલઘર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈને પાણી પુરવઠો કરનારા જળાશયોના કેચમેન્ટ એરિયામાં પાણીની સારી એવી આવક થઈ છે. માત્ર બે દિવસમાં જળાશયોમાં ૧૦ ટકાથી વધુ પાણી જમા થઈ ગયુંં છે. શુક્રવારે જળાશયોમાં ૫૦ ટકા પાણીનો જથ્થો હતો તે ૪૮ કલાકની અંદર જ ૬૦ ટકા સુધી પહોંચી ગયો હતો. માત્ર બે દિવસમાં ૧૦ ટકાથી વધુ પાણી જમા થઈ ગયું છે, જે ૩૨ દિવસ ચાલે એટલું છેે.
મુંબઈ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે, તેમાં પણ થાણે અને પાલઘર જિલ્લામાં ત્રણ-ચાર દિવસથી વરસાદ ચાલુ જ રહ્યો છે. તેથી જળાશયોમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે સવારના છ વાગ્યાછી સાંજના છ વાગ્યા સુધીમાં તાનસામાં ૧૧૩ મિ.મી., મોડકસાગરમાં ૧૨૬ મિ.મી. અને મિડલ વૈતરણામાંં ૧૧૯ મિ.મી. વરસાદ પડયો હતો. વિવાર સવારના છ વાગે સાતેય જળાશયોમાં ૮,૬૨,૧૦૦ મિલ્યન લિટર જેટલું પાણી જમા થયું હતું. હજી શુક્રવાર, ચાર જુલાઈના સાતેય જળાશયોમાં ૭,૩૪,૫૬૨ મિલ્યન લિટર (૫૦.૭૫ ટકા) પાણીનો જથ્થો હતો. માત્ર બે દિવસમાં જળાશયોમાં ૧,૨૭,૫૩૮ મિલ્યન લિટર પાણી જમા થઈ ગયું છે. આ પાણી મુંબઈગરાને ૩૨ દિવસ ચાલે એટલું જ છે.
ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં ૧,૫૭,૪૪૯ મિલ્યન લિટર (૧૦.૮૮ ટકા) અને ૨૦૨૩ની સાલમાં જળાશયોમાં ૨,૬૪,૬૫૭ મિલ્યન લિટર (૧૮.૨૯ ટકા) પાણી હતું. તેની સામે આ વર્ષે જૂન અને જુલાઈ મહિનામાં જળાશયોમાં પાણીની સપાટી ૬૦ ટકાની આસપાસ પહોંચી ગઈ છે. એટલે કે જળાશયોમાં મુંબઈને ૨૧૮ દિવસ ચાલે એટલું પાણી જમા થઈ ગયું છે. સતત પડી રહેલા વરસાદને કારણે જળાશયોમાં પાણીનું સ્તર ૬૦ ટકા સુધી પહોંચી જતા હાલ પૂરતી પાણીની ચિંતા હળવી થઈ છે. જુલાઈ મહિનામાં વરસાદનું જોર આવું જ રહ્યું અને ત્યારબાદ ઑગસ્ટ અને સપ્ટેમ્બર પણ હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ ચાલુ રહ્યો તો જળાશયો છલકાઈ જાય તો આખા વર્ષની ચિંતા દૂર થઈ શકે છે.
મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવા માટે પહેલી ઑક્ટોબરના જળાશયોમાં ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટર પાણીનો જથ્થો હોવો આવશ્યક છે. મુંબઈને પ્રતિ દિન ૩,૮૫૦થી ૩,૯૦૦ મિલ્યન લિટર જેટલો પાણી પુરવઠો કરવામાં આવે છે.
જળાશય | વર્તમાન સપાટી (તમામ આંકડા મીટરમાં) | છલકાવવાની સપાટી |
અપર વૈતરણા | ૬૦૧.૫૦ | ૬૦૩.૫૧ |
મોડક સાગર | ૧૫૯.૨૪ | ૧૬૩.૧૫ |
તાનસા | ૧૨૫.૪૨ | ૧૨૮.૬૩ |
મિડલ વૈતરણા | ૨૭૫.૫૦ | ૨૮૫.૦૦ |
ભાતસા | ૧૨૭.૨૦ | ૧૪૨.૦૭ |
વિહાર | ૭૭.૦૮ | ૮૦.૧૨ |
તુલસી | ૧૩૫.૩૮ | ૧૩૯.૧૭ |
બેથી ત્રણ દિવસ વરસાદનું જોર રહેશે
મુંબઈમાં વહેલી સવારના વરસાદનું થોડું જોર રહ્યા બાદ આખો દિવસ છૂટોછવાયો વરસાદ રહ્યો હતો હવામાન વિભાગે સોમવાર માટે મુંબઈ અને થાણે અને પાલઘર માટે યલો અલર્ટની ચેતવણી આપી છે. મુંબઈ શહેરમાં સવારના આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં ૩.૦૮ મિ.મી., પૂર્વ ઉપનગરમાં ૧૯.૨૬ મિ.મી. અને પશ્ચિમ ઉપનગરમાં ૧૮.૨૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ર્ચિમ બંગાળના ઉત્તરીય ભાગો અને આસપાસના વિસ્તારમાં દરિયાની સપાટીથી સરેરાશ ૫.૮ કિલોમીટર ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે. ઉત્તર ગુજરાતથી પશ્ર્ચિમ બંગાળના ઉત્તરીય ભાગો અને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ એક ટ્રફ છે. તો મહારાષ્ટ્રઅને કર્ણાટકના દરિયાની સપાટી પર ઓફ-શોર યથાવત છે. આ તમામ સિસ્ટમ પશ્ર્ચિમ તરફ આગળ વધી રહી હોવાથી આઠ જુલાઈ સુધી મહારાષ્ટ્રના જુદા જુદા જિલ્લામાં મુખ્યત્વે ઉત્તર કોંકણ, ઉત્તર મહારાષ્ટ્ર, મરાઠાડા સહિત વિદર્ભ ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે.