કસારામાં ઝાડીઝાંખરાંમાં ફસાયેલી કારમાંથી મુંબઈના ત્રણ યુવકના કોહવાયેલા મૃતદેહ મળ્યા…
ત્રણેય મિત્ર ત્ર્યંબકેશ્ર્વર જવા નીકળ્યા હતા: ઘટનાસ્થળના નિરીક્ષણ પરથી કારને અકસ્માત નડ્યાનો પોલીસનો અંદાજ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ-નાશિક હાઈવે પર શાહપુર તાલુકાના કસારા નજીક એક નાળા પાસેના ઝાડીઝાંખરાંમાં ફસાયેલી કારમાંથી મુંબઈમાં રહેતા ત્રણ યુવકના કોહવાયેલા મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ત્ર્યંબકેશ્ર્વર જતા હોવાનું કહીને ત્રણેય મિત્ર મુંબઈથી નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા. ઘટનાસ્થળના નિરીક્ષણ પરથી કારને અકસ્માત નડ્યો હોવાનો અંદાજ પોલીસે વ્યક્ત કર્યો હતો.
કસારા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સુરેશ ગાવિતે જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ ખારમાં રહેતા યજ્ઞેશ વાઘેલા (27), પવઈના પ્રવીણ કુમાર સિંહ (27) અને કુર્લામાં રહેતા રઝબઅલી શેખ (29) તરીકે થઈ હતી. કાર વાઘેલા ચલાવી રહ્યો હોવાથી તેનું શબ ડ્રાઈવિંગ સીટ પરથી મળી આવ્યું હતું. અધિકારીના જણાવ્યા મુજબ કસારાના ઉંબરમાળી પરિસરમાં નાળા પાસેના ઝાડીઝાંખરાંમાં ગુરુવારની બપોરે એક મહિલા ગાયોને ચરાવવા લઈ ગઈ હતી ત્યારે તેની નજર કાર પર પડી હતી. અતિશય દુર્ગંધ આવતી હોવાથી મહિલાએ નજીક જઈને જોયું તો કારમાં શબ દેખાયાં હતાં. તેણે તાત્કાલિક ગામવાસીઓને આ અંગે જાણ કરી હતી.
બનાવની જાણ થતાં કસારા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેસીબી મશીનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. કચ્ચરઘાણ વળી ગયેલી હાલતમાં કાર મળી હતી. કારમાં ત્રણ યુવકના મૃતદેહ હતા, જે કોહવાવા લાગ્યા હતા. પોલીસના અંદાજ મુજબ ત્રણથી ચાર દિવસ અગાઉ યુવકોનાં મૃત્યુ થયાં હશે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે વાઘેલા તેના બનેવીની કાર લઈને ખારથી નીકળ્યો હતો. ત્ર્યંબકેશ્ર્વર જઈ રહ્યો હોવાનું તેણે પરિવારને કહ્યું હતું. ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં સીસીટીવી કૅમેરા ન હોવાથી ઘટના ક્યારે બની તે જાણી શકાયું નહોતું.
ઈન્સ્પેક્ટર ગાવિતે જણાવ્યું હતું કે ઘટનાસ્થળનું નિરીક્ષણ જોતાં માલૂમ થાય છે કે કાર પૂરપાટ વેગે આવી હશે અને નાના વળાંક પાસે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માત મધરાતે અથવા પરોઢિયે થયો હશે, જેને કારણે કોઈને તેની જાણ થઈ નહોતી. કાર એટલા જોશથી ફંગોળાઈ હતી કે સાગના ઝાડની મોટી ડાળી તૂટી ગઈ હતી. કાર એવા સ્થળે ઝાડીઝાંખરામાં ફસાઈ હતી કે રસ્તા પરથી પસાર થનારી વ્યક્તિને તે નજરે પડતી નહોતી, એમ પોલીસે જણાવ્યું હતું.