મુંબઈ મેટ્રો લાઈન- ટુબીમાં ફેઝ વન બહુ જલદી ખુલ્લો મુકાશે
છેલ્લા તબક્કાની સુરક્ષાની તપાસ શરૂ: ડિસેમ્બર, ૨૦૨૫ સુધી શરૂ થવાની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મેટ્રો લાઈન-ટુબી મંડાલે-ચેમ્બુર વચ્ચે ૫.૩૯ કિલોમીટરના પટ્ટા માટે સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનું ગણાતા ઈન્સ્પેકશનનું કામ ગયા અઠવાડિયાથી શરૂ થઈ ગયું છે.
બહુ જલદી તેને મેટ્રો રેલવે સેફટી કમિશનર (સીએમઆરએસ)ની ટીમ પાસેથી ક્લિઅરન્સ મળી જશે અને સુરક્ષાને લગતી મંજૂરી મળવાની સાથે જ પહેલા તબક્કામાં મંડાલેથી ડાયમંડ ગાર્ડન વચ્ચે મેટ્રો રેલવે શરૂ થઈ જશે એવું માનવામાં આવે છે.
મેટ્રો લાઈન-ટુબી બે તબક્કામાં બની રહી છે. મેટ્રો લાઈન-ટુબીમાં પહેલા તબક્કાનું કામ પૂરું થઈ ગયા બાદ હવે બીજા તબક્કાનું કામ ઝડપભેર કરવામાં આવી રહ્યું છે. એક વખત આ પટ્ટામાં કામ થઈ જશે અને આખો મેટ્રો રૂટ તૈયાર થઈ જશેે પછી આ લાઈનમાં મેટ્રો મંડાલેથી ડીએન નગર વચ્ચે દોડશે.
આપણ વાંચો: મુંબઈ મેટ્રો 11: ‘ગેટવે’ મેટ્રો લાઈનથી 801 પરિવારો અને ધાર્મિક સ્થળો પર અસર થશે, શું છે પ્લાન?
.મેટ્રો લાઈન-ટુબીના પહેલા તબક્કામાં પાંચ સ્ટેશન વચ્ચે સુરક્ષા સર્ટિફિકેટ મળવાની સાથે જ મેટ્રો રેલ ચાલુ કરવામાં આવશે, જેમાં મંડાલે, માનર્ખુદ, બીએસએનએલ, શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક અને ડાયમંડ ગાર્ડન સ્ટેશનનો સમાવેશ થાય છે.
પહેલા તબક્કામાં ચાલુ કરવામાં આવનારી મેટ્રોના રૂટ અગાઉ બુધવારે મેટ્રો રેલવે સેફટી કમિશનર (સીએમઆરએસ)ની ટીમે ઈન્સ્પેકશન કર્યું હતું. બહુ જલદી સીએમઆરએસની પાસેથી સુરક્ષાને લગતી તમામ સેફટી સર્ટિફિકેટ મળી જશે એ સાથે આ મેટ્રો લાઈન-ટુબીમાં મંડાલે-ચેમ્બુર ૫.૩૯ કિલોમીટરના પટ્ટા પર મેટ્રો દોડાવવાનું ચાલુ કરી દેવામાં આવશે એવો દાવો મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના કમિશનર સુબ્રોતો બેનર્જીએ કર્યો હતો.
ઈન્સ્પેકશનના આ રાઉન્ડ પહેલા પણ ચાર જુલાઈના રોજ સુરક્ષાની તપાસ કરવામાં આવી છે ત્યારે સીએમઆરએસની ટીમે લાઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. એ દરમ્યાન અધિકારીઓએ ઓવરહેડ ઈલેક્ટ્રિક ઉપકરણ, સિગ્નલ અને કમ્યુનિકેશન સિસ્ટમને લગતું પણ ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.
જુલાઈના ઈન્સ્પેકશન બાદ સીએમઆરએસ દ્વારા ઈન્સ્પેકશન સમયે જે મુદ્દા ધ્યાનમાં આવ્યા હતા તેની યાદી એમએમઆરડીએને સોંપવામાં આવી હતી. તે મુજબ સુધારાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ સુધારા અમલમાં લાવ્યા બાદ ફરી ઈન્સ્પેકશન કર્યા બાદ જ મેટ્રો લાઈન ટુ-બીને મંજૂરી આપવામાં આવવાની હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
આખી મેટ્રો લાઈન તૈયાર થઈ ગયા પછી તે મંડાલેથી ડીએન નગર વચ્ચે દોડશે. આ મેટ્રોને કારણે પ્રવાસનો સમય ૫૦થી ૭૫ ટકા બચી જશે. પૂર્વ અને પશ્ર્ચિમ વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થશે. રસ્તા પરના ટ્રાફિકમાં તથા પ્રદૂષણમાં ઘટાડો થશે. મેટ્રો-ટુબી અન્ય ટ્રાન્સપોર્ટેશન સાથે એટલે કે મેટ્રો લાઈન ફોર, મોનોરેલ સહિત મધ્ય અને પશ્ર્ચિમ રેલવે સાથે જોડાયેલી હશે.