અંધેરી-ઍરપોર્ટ અંડર ગ્રાઉન્ડ મેટ્રો: છેલ્લી અંડર ગ્રાઉન્ડ ટનલનું કામ પૂરું

મુંબઈ: મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ અને અંધેરી (પૂર્વ)ને જોડનારી મેટ્રો સેવન (એ) માટેની છેલ્લી ટનલનું ખોદકામ પૂરુંં થયું છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ૨.૨૯૫ કિલોમીટર લંબાઈની મેટ્રો લાઈનમાં અંધેરીથી ઍરપોર્ટ દરમ્યાનની ટનલનું કામ પૂરું થયું છે. આ લાઈનને કારણે મેટ્રો-૩ સાથે તે જોડાશે.
મેટ્રો સેવન(એ) ૨.૧૯૫ કિલોમીટર લંબાઈની મિશ્ર સ્વરૂપની મેટ્રો છે, તેમાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ આ સ્ટેશન અંડરગ્રાઉન્ડ અને અંધેરી પૂર્વ તરફનું ઍરપોર્ટ કોલોની સ્ટેશન એલિવેટેડ છે.
આપણ વાંચો: મુંબઈની ‘અંડરગ્રાઉન્ડ મેટ્રો’ ‘મોનો રેલ’ના પગલે?, અપેક્ષા પ્રમાણે મળતા નથી પ્રવાસી…
ઍરપોર્ટ ટર્મિનલ બેની બહારથી આ મેટ્રો ચાલુ થશે. તેમાં ઍરપોર્ટથી અંધેરી રૂટ માટે ટનલનું કામ થોડા મહિના પહેલા જ પૂરું થયું હતું, ત્યારબાદ હવે અંધેરીથી ઍરપોર્ટ અપ દિશા માટેનું ટનલનું કામ પણ પૂરું થયું છે.
આ ટનલની લંબાઈ ૧.૯૫ કિલોમીટરની હોઈ તેનો વ્યાસ ૫.૬ મીટરનો છે. ટનલ ખોદવા માટે ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ને ૧.૪૦ મીટર લંબાઈના એક હજાર ૧૭૮ પ્રીકાસ્ટ સિમેન્ટ રિંગ બેસાડવામાં આવ્યા હતા.
આપણ વાંચો: અંડરગ્રાઉન્ડ મેટ્રોના બીજા તબક્કાનું કામ પૂરજોશમાં ચાલુ
આ રિંગથી ટનલ સફળતાપૂર્વક ખોદીને ટીબીએમ ટનલમાંથી બહાર આવ્યું છે. ટનલના ખોદકામ માટે ચાર નવેમ્બર, ૨૦૨૩ના ટીબીએમ મશીનને જમીનની નીચે ઉતારવામાં આવ્યું હતું, તે મુજબ ૨૦ મહિનામાં આ ટનલનું ખોદકામ પૂરું થયું છે.
આ મેટ્રોમાં ૭૦ કરોડ રૂપિયાના ખર્ચે વેન્ટિલેશન સિસ્ટમ બેસાડવામાં આવવાની છે, જે અંતર્ગત ટનલ વેન્ટિલેશન સિસ્ટમ એટલે કે ટીવીએસ અને એન્વાર્યમેન્ટલ કંટ્રોલ સિસ્ટમ એટલે કે ઈસીએસ આ બંને સિસ્ટમ ૮૦ અઠવાડિયામાં બેસાડવા માટે એમએમઆરડીએ દ્વારા ટેન્ડર કાઢવામાં આવ્યા છે.
આ સિસ્ટમને કારણે ૧૦થી ૫૫ ડિગ્રી તાપમાનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે. તેમ જ એક જ દિવસમાં ૪૫૦ મિલીમીટર વરસાદ પડયો તો પણ ઈસીએસને કારણે આ રૂટ પર પાણી ભરાઈ જવાની સમસ્યા નિર્માણ નહીં થાય એવો દાવો એમએમઆરડીએ દ્વારા કરવામાં આવ્યો છે.