દિવાળીના પહેલા દિવસે મુંબઈની પશ્ચિમ રેલવેની લોકલ સેવા ખોરવાઈ

મુંબઇઃ લોકલ ટ્રેનોની સેવા મુંબઇની લાઇફ લાઇન ગણાય છે. જોકે, રોજેરોજ કોઇને કોઇ બહાને લોકલ ટ્રેનોના ધાંધિયા એ કંઇ નવી વાત રહી નથી. એમાં આજે મુંબઇના પશ્ચિમ રેલવે વિભાગની રેલ સેવા ખોરવાઇ જતા કામધંધે, નોકરીએ જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. મળતી માહિતી મુજબ પશ્ચિમ રેલવેના કેલ્વે રોડ સ્ટેશન પર એન્જિન ફેલ થયું હતું, જેને કારણે ઘણી લોકલ અને એક્સપ્રેસ ટ્રેનોનો ટ્રાફિક ખોરવાઈ ગયો છે અને મુસાફરોને ભારે પરેશાની થઇ રહી છે. દિવાળીના દિવસોમાં ખરીદી કરવા નીકળેલા લોકોને પણ હાલાકી વેઠવી પડી રહી છે.
કેલ્વે રોડ સ્ટેશન પર એન્જિન ફેલ થયું હોવાને કારણે પશ્ચિમ રેલવે માર્ગ પર લોકલ સેવા ખોરવાઈ ગઈ છે. જેના કારણે મુંબઈ તરફ આવતી લાંબા અંતરની ટ્રેનો મોડી દોડી રહી છે. પાલઘરથી વિરાર અને પાલઘરથી ચર્ચગેટ સુધીની લોકલ ટ્રેનો વિલંબથી અને ધીમી ગતિએ ચાલી રહી છે.
| Also read: 26/11 મુંબઈ હુમલાનો જવાબ ભારતે આપ્યો નહોતો, પણ હવે નહીં ચલાવાયઃ જયશંકરે મુંબઈમાં કરી મોટી વાત…
ઉત્તર પ્રદેશ અને બિહારથી લાખો લોકો કામધંધાની શોધમાં બીજા રાજ્યમાં અને શહેરોમાં જઇને વસતા હોય છે. દીવાળી અને છઠ્ઠ પૂજાના તહેવાર નિમિત્તે તેઓ પોતાને ઘરે પાછા જતા હોય છે. એટલા માટે જ દિવાળીના સમયગાળામાં રેલવે દ્વારા મુંબઈથી ઉત્તર પ્રદેશની ઘણી ટ્રેનો દોડાવવામાં આવે છે.
| Also read: તહેવારોમાં રેલવેની વ્યવસ્થાની પોલ ખુલી, મુસાફરો બારીઓમાંથી ટ્રેનમાં ચડવા મજબુર
પોતાને ઘેર જવા માગતા લોકોની વિશાળ સંખ્યાને જોઇને રેલ્વે પ્રશાસન દ્વારા વિશેષ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે. એવામાં દિવાળીના પ્રથમ દિવસે જ, કેલ્વે સ્ટેશન પર તકનીકી ખામીને કારણે ઘણી એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા તો તે વિલંબથી દોડાવવામાં આવી રહી છે. લાંબા અંતરની ટ્રેનો મોડી દોડતી હોવાથી લોકોને ભારે પરેશાની થઇ રહી છે.