મુંબઈની લોકલ ટ્રેનોમાં ફરી ધાંધિયા, એક કલાકની મુસાફરી માટે ત્રણથી ચાર કલાકનો લાગ્યો સમય, પ્રવાસીઓ ધુઆપુઆ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈની લોકલ ટ્રેનોમાં ફરી ધાંધિયા, એક કલાકની મુસાફરી માટે ત્રણથી ચાર કલાકનો લાગ્યો સમય, પ્રવાસીઓ ધુઆપુઆ

મુંબઈ: ત્રણ દિવસના મેગા બ્લોક પછી આજે અઠવાડિયાના પહેલા દિવસે લોકલ ટ્રેનમાં જોરદાર ધાંધિયા થયા હતા, જેથી આજે પણ ટ્રેનમાં મુસાફરી કરવામાં રાહત મળી નહોતી. મધ્ય રેલવેની સાથે પશ્ચિમ રેલવેમાં ટ્રેન સેવા પર અસર પડી હતી.

સીએસએમટી અને થાણેમાં પ્લેટફોર્મના આધુનિકરણને કારણે 36 અને 63 કલાકોનો બ્લોક ગુરુવાર રાતથી લઇને રવિવાર સાંજ સુધીમાં સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. રાતના ટ્રેન મોડી મોડી શરૂ થયા પછી પણ ચાલુ થવાથી પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આમ છતાં આજે સવારથી ટ્રેનસેવા નિરંતર ખોરવાઈ હતી. આ અંગે રેલવેએ કહ્યું હતું કે નવી સિગ્નલ સિસ્ટમ હોવાને કારણે સમસ્યા નડી રહી છે. ટ્રેન મર્યાદિત ઝડપથી દોડવાય છે. સીએસએમટીથી લઈને દાદર સુધી ટ્રેનની બંચિંગ થયું હતું. ધીમે ધીમે ટ્રેન સેવા ચાલુ થઈ હોવા છતાં ટ્રેન નિયત સમય કરતાં મોડી દોડી રહી છે.

આ મુદ્દે ડોમ્બિવલીના રહેવાસી સાગરે કહ્યું હતું કે મધ્ય રેલવેમાં સવારથી પ્રોબ્લમ છે. આ અંગે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામ આવતી નથી. સ્લો ટ્રેન કલાકો સુધી સાયન અને માટુંગા વચ્ચે અટકી પડી હતી. આ ટ્રેન એક વાગ્યે માંડ સીએસટીએમ પહોંચી હતી. થાણેની રહેવાસી મનીષાએ કહ્યું કે 11.30 વાગ્યે સીએસએમટીની ટ્રેન પકડી હતી પણ દાદરર્થી ભાયખલા વચ્ચે ટ્રેન એક કલાક રોકી દેવામાં આવી હતી. મારી ટ્રેન બે વાગ્યે પણ સીએસએમટી પહોંચી નહોતી. સૌથી શરમજનક વાત એ છે કે વિના વરસાદ આવી હાલત છે તો વરસાદમાં શું હાલ થશે? લોકલ ટ્રેનના વહેલા મોડા પાડવા અંગે પણ કોઈ જાહેરાત કરવામાં આવતી નથી.

મધ્ય રેલવેના માફક પશ્ચિમ રેલ્વેમાં સવારથી કેબલ કટ થવાને કારણે બોરીવલીથી ચર્ચગેટની ટ્રેન સેવા પર અસર થઈ હતી. સવાથી બપોર સુધીમાં અનેક ટ્રેનો રદ કરવામાં કારણે મોટા ભાગની ટ્રેનો મોડી દોડતા પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવામાં ભારે હાલાકી પડી હતી. આ મુદ્દે સોશ્યલ મીડિયા પર પણ પ્રવાસીઓએ રેલવેની જોરદાર ઝાટકણી કાઢી હતી. જોકે રેલવે પ્રશાસન દ્વારા સાંજ સુધીમાં બધું રાબેતા મુજબ શરૂ થવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

Also Read –

Back to top button