મુંબઈ લોકલમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, જાણી લેશો તો…

મુંબઈઃ મુંબઈ લોકલમાં પ્રવાસ કરનારા મુંબઈગરા માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સિગ્નલ, ટ્રેક મેઈન્ટેનન્સ જેવા કામ માટે આવતીકાલે 15મી જૂનના રોજ મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. જેને કારણે રવિવારે રજાના દિવસે પણ લોકલ ટ્રેનના ધાંધિયા રહેશે એટલે જો તમે પણ બહાર જતાં પહેલાં આ સમાચાર વાંચી લો. ચાલો જાણીએ આવતીકાલે ક્યાંથી ક્યાં રહેશે બ્લોક…
મધ્ય રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આવતીકાલે સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. આ લોકલ ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશન પર ઊભી રહેશે. વિદ્યાવિહારથી આ લોકલ ફરી અપ-ડાઉન સ્લો લાઈન પર ડાયવર્ટ કરવામાં આવશે.
હાર્બર લાઈન પર પનવેલ-વાશી વચ્ચે સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી અપ-ડાઉન સ્લો લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટીથી પનવેલ, બેલાપુર અને બેલાપુર-પનવેલથી સીએસએમટી માટે રવાના થનારી લોકલ ટ્રેનો બંધ રહેશે. પનવેલથી સવારે ટ્રાન્સ હાર્બર લાઈન પર પણ ટ્રેનો રદ રહેશે. બ્લોકના સમયે સીએસએમટી-વાશી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ સાથે થાણે-વાશી, નેરુલ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.
પશ્ચિમ રેલવેમાં સવારે 10.30 કલાકથી સાંજે 3.35 કલાક કરવા માટે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન અપ-ડાઉન ફાસ્ટ લોકલ અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે.
મેગા બ્લોકને કારણે લોકલ ટ્રેનો 15-20 મિનિટ મોડી પડી શકે છે. રેલવે દ્વારા પ્રવાસીઓને ઘરથી નીકળતા પહેલાં પ્લાન કરી રહ્યા હોય તો પહેલાં આ સમાચાર વાંચીને જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે.