15 વર્ષમાં રેલ અકસ્માતમાં 14,000થી વધુ ‘લાવારિસ’ મૃતદેહઃ RTIમાં ખુલાસો

મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં લોકલ ટ્રેનનું નેટવર્ક જેટલું ઝડપથી વિસ્તરી રહ્યું છે, તેના કરતા વધતા અકસ્માતો અને અકસ્માતમાં ભોગ બનનારાની બાબત પણ ચિંતાજનક છે. મુંબઈ રેલવેની હદમાં વિવિધ પ્રકારના અકસ્માતમાં મોતને ભેટનારા પ્રવાસીની સંખ્યાની સાથે જેમની ઓળખ થઈ શકતી નથી એ બાબત રેલવે પોલીસ માટે માથાનો દુખાવો બની છે, જે અન્વયે એક આરટીઆઈના અહેવાલમાં રેલવે અકસ્માતમાં પંદર વર્ષમાં 14,000થી વધુ લાવારિસ મૃતદેહ હોવાનો ખુલાસો થયો છે.
2002થી 2024 વચ્ચે 72,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં
આરટીઆઈના અહેવાલના આધારે છેલ્લા 15 વર્ષમાં મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં રેલવે ટ્રેક પર થયેલા તમામ મૃત્યુમાંથી લગભગ એક તૃતીયાંશ મૃત્યુ બિનવારસી છે. 2002થી 2024ની વચ્ચે વિવિધ કારણોસર 72,000થી વધુ લોકોએ રેલવેમાં પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં મોટા ભાગના લોકો પાટા ઓળંગતી વખતે મૃત્યુ પામ્યા છે.
આ પણ વાંચો: થાણેમાં માર્ગ અકસ્માત બાદ ટોળાએ કરેલા હુમલામાં પોલીસ કર્મચારીઓ ઘાયલ
રેલવેમાં ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનારામાંથી 31% લાવારિસ
GRP એ જણાવ્યું હતું કે 2014થી 2024 સુધીમાં સેન્ટ્રલ રેલવે (CR)માં 18,836 અને વેસ્ટર્ન રેલ્વે (WR)માં 25,846 લોકોના મોત થયા હતા, જેમાંથી CR પર 5,524 અને WR પર 8,416 લોકોના મોત થયા, જેની ઓળખ થઈ શકી નહોતી.
ઉપનગરીય નેટવર્ક પર ટ્રેન અકસ્માતોમાં જીવ ગુમાવનારા 46,969 લોકોમાંથી 14,513 અથવા 31 ટકા લાવારિસ રહ્યા અને સરકારી રેલવે પોલીસના પ્રયાસો છતાં તેમના પરિવારોને ફરી મળી શક્યા નહીં. ઓર્થોપેડિક સર્જન ડૉ. સરોશ મહેતા દ્વારા મેળવેલા RTI ડેટામાં પણ 2019થી લાવારિસ મૃતદેહોની ટકાવારીમાં વધારો જોવા મળ્યો છે.
કેટલાક મૃતદેહો ઓળખી શકાય નહીં એવા વિકૃત થઈ ગયા
પોલીસ કર્મચારીઓએ જણાવ્યું હતું કે રેલવે અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિની ઓળખ સ્થાપિત કરવી પડકારજનક હોય છે. કેટલાક મૃતદેહો ઓળખી ન શકાય તેવા વિકૃત થઈ જાય છે અને મોબાઈલ કે ઓળખ કાર્ડ જેવી વસ્તુ પણ તેમની પાસેથી મળતી નથી. સરકારી રેલવે પોલીસ (GRP)એ શોધ નામની એક વેબસાઇટ શરૂ કરી હતી, જ્યાં પીડિતોના ફોટા અને વિગતો અપલોડ કરવામાં આવતા જેથી પરિવારોને તેમની ઓળખ કરવામાં મદદ મળી શકે.
આ પણ વાંચો: યાત્રીગણ કૃપયા ધ્યાન દેઃ ટ્રેનના ભાડાંમાં થશે વધારો, ક્યારથી જાણો?
જીઆરપીએ ઝુંબેશ શરુ કરી પણ બંધ પણ કરી નાખી
જોકે, આ પ્રોજેક્ટ આખરે બંધ કરવામાં આવ્યો. GRP એ એક ઝુંબેશ પણ શરૂ કરી હતી જેમાં રેલવે સ્ટેશન પર અકસ્માતનો ભોગ બનેલા લોકોના ફોટા છાપેલા બેનર લગાવવામાં આવતા હતા. પરંતુ પછી મુસાફરોને ખલેલ પહોંચતી હોવાથી આ ઝુંબેશ પણ બંધ કરવામાં આવી.
જો કોઈ દાવેદાર ન મળે તો અંતિમવિધિ કરવામાં આવે
એક પોલીસ અધિકારીના અહેવાલ મુજબ સામાન્ય રીતે જ્યારે પીડિતની ઓળખ થતી નથી, ત્યારે મૃતદેહને 15 દિવસથી એક મહિના સુધી શબઘરમાં રાખવામાં આવે છે. પીડિતના ફોટા શહેરના પોલીસ સ્ટેશનોમાં મોકલવામાં આવે છે, જેથી જાણવા મળે કે તેના પરિવાર દ્વારા ગુમ થવાની ફરિયાદ નોંધાઈ છે કે નહીં. જો કોઈ દાવેદાર આગળ ન આવે, તો મૃતદેહને ધર્મ (જો તે જાણીતું હોય) અનુસાર અગ્નિસંસ્કાર કરવામાં આવે છે અથવા દફનાવવામાં આવે છે.
પીડિતના કપડાંનો ટુકડો અથવા તેનો અંગત સામાન પોલીસ રેકોર્ડમાં પીડિતના ફોટા સાથે સાચવવામાં આવે છે, જેથી પછીથી તેનો પરિવાર શોધી શકાય. પડકારજનક હોવા છતાં પોલીસ ટીમો ક્યારેક પીડિતના શરીર પર ટેટૂ અથવા તેના કપડાં પરના ટેગ દ્વારા નજીકના સંબંધીઓને શોધી કાઢે છે.