Good News: ‘ત્રીજા મુંબઈ’ માટે MMRDAએ કામકાજના કર્યાં શ્રીગણેશ
હવાઈ સર્વેક્ષણ અને જમીનની ચકાસણીનું પણ કામ શરૂ થયું

મુંબઈઃ છેલ્લાં ૧૦ વર્ષથી જેનો ઉલ્લેખ થઇ રહ્યો છે એ ત્રીજા મુંબઈને ઊભું કરવા માટે એમએમઆરડીએ (MMRDA)એ હવે કમર કસી છે. રાયગડ જિલ્લામાં કર્નાળા, સાઈ અને ચિરનેર પટ્ટામાં મહા નગરો ઊભાં ક૨વામાં આવશે. નવું મુંબઈ ઊભું કરવા માટે ૩૨૩ કિ.મી.નું ક્ષેત્રફળ છે. આમાં ૧૨૪ ગામનો સમાવેશ કરવામાં આવશે. પર્યાવરણને નુકસાન ન પહોંચે એ રીતે નવાં નગરો ઊભાં કરવામાં આવશે. પ્રસ્તાવિત કેએસસી નગર વિસ્તારનો આધારભૂત નકશો અને અસ્તિત્વમાં છે એવી જમીનના વપરાશનો નકશો જીઆઈએસ દ્વારા કરવામાં આવશે. એ માટે હવાઈ સર્વેક્ષણ અને જમીનની ચકાસણી કરવાનું કામ શરૂ કરવાનો નિર્ણય એમએમઆરડીએએ લીધો છે. આ સર્વેક્ષણ એટલે કે ત્રીજું મુંબઈ ઊભું કરવા માટે મૂકવામાં આવેલું મોટું પગલું. હાલમાં મુંબઈ અને નવી મુંબઈમાં પાયાભૂત સુવિધાને કારણે મોટી તકલીફો થઇ રહી છે. આથી જ રાજ્ય સરકારે એમએમઆરડીએના માધ્યમથી ત્રીજું મુંબઈ ઊભું કરવા માટે નક્કર પગલું લીધું છે.
Also read: લંડન જેવી પોડ ટેક્સી મુંબઈમાંઃ એમએમઆરડીએએ લીધો મોટો નિર્ણય…
એના જ ભાગરૂપે પ્રસ્તાવિત કર્નાળા, સાઈ અને ચિરનેર જેવાં મોટાં નગરોના વિસ્તારની જમીનનો અભ્યાસ કરીને નકશો તૈયાર કરવો, જમીનનું સર્વેક્ષણ હાથ ધરવું, જમીનની માલિકી સંદર્ભના દસ્તાવેજો, નકશાનો સંગ્રહ કરવાનું કામ સ્વતંત્ર એજન્સીના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. આ માટે એમએમઆરડીએએ ટેન્ડર બહાર પાડ્યાં છે. આ તમામ સર્વેક્ષણ હાથ ધરાયા બાદ તેનું વિશ્લેષણ કરીને નગરો ઉભારવાના કામને પ્રત્યક્ષ રૂપે શરૂઆત કરવાનું શક્ય બનશે.