આમચી મુંબઈમહારાષ્ટ્ર

મીરા રોડમાં પોલીસ સ્ટેશનની બહાર ભરરસ્તે પતિએ ગળું ચીરી પત્નીને મોતને ઘાટ ઉતારી…

કૌટુંબિક વિવાદને લઇ હત્યા કર્યા બાદ પતિનું આત્મસમર્પણ

ભાયંદર: મીરા રોડમાં પોલીસ સ્ટેશનની બહાર ભરરસ્તે પતિએ ગળું ચીરીને પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના બની હતી. કૌટુંબિક વિવાદને લઇ પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

બાંદ્રામાં રહેતી અમરીન ખાન (36)ના નિકાહ મીરા રોડમાં રહેનારા નદીમ ખાન સાથે થયા હતા. દંપતીને બે સંતાન છે. છેલ્લાં દોઢ વર્ષથી દંપતી વચ્ચે કૌટુંબિક વિવાદ ચાલી રહ્યો હતો. પોતાનાં બંને સંતાનનો તાબો મેળવવા માટે અમરીને સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે ઑગસ્ટમાં બંને સંતાનનો તાબો અમરીનને આપવાનો આદેશ આપ્યો હતો. જોકે નદીમ સંતાનોનો તાબો આપવા માટે તૈયાર ન હોવાથી અમરીને ફરી કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. આથી સંતાનોનો તાબો લેવા માટે સુરક્ષા પૂરી પાડવાનો આદેશ કોર્ટે પોલીસને આપ્યો હતો.

દરમિયાન અમરીન શુક્રવારે તેના સંતાનોનો તાબો લેવા માટે મીરા રોડમાં આવી હતી. અમરીને નયા નગર પોલીસ સ્ટેશનમાં સાત હજાર રૂપિયા અનામત રકમ ભરીને સુરક્ષા મેળવી હતી. તે બાદમાં પોલીસ સાથે પતિના ઘરે ગઇ હતી, પણ દરવાજા પર તાળું લાગેલું હતું. પોલીસે નદીમનો સંપર્ક સાધતાં પુત્ર તેની દાદી સાથે અજમેર ગયો હોવાનું તેણે જણાવ્યું હતું. આથી અમરીન નારાજ થઇ પોતાના ઘરે પાછી જતી રહી હતી.

શુક્રવારે સવારે અમરીન ફરી નયા નગર પોલીસ સ્ટેશનમાં આવી હતી. એ સમયે પોલીસ સ્ટેશનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આથી વિધાનસભ્ય અને ડીસીપી સાથે મુલાકાત થશે એ આશયે તે પોલીસ સ્ટેશનમાં જ બેસી રહી હતી. દરમિયાન તે સંતાનોને જોવા નજીકમાં આવેલી સ્કૂલમાં જવા માટે નીકળી હતી. અમરીન પોલીસ સ્ટેશનમાંથી બહાર આવતાં ત્યાં ઊભેલા પતિએ તેનું ગળું ચીરી નાખ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button