પીક અવર્સમાં મેટ્રો લાઈન વન સેવા ખોરવાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર-વર્સોવા વચ્ચે દોડતી મેટ્રો વન સોમવારે સાંજે પીક અવર્સમાં અંધેરી સ્ટેશન પર ટેક્નિકલ ખામીને કારણે ખોરવાઈ ગઈ હતી, તેને કારણે સાંજે મેટ્રો ટ્રેન મોડી પડી હતી.
સોમવારે સાંજના લગભગ પાંચ વાગે મેટ્રોમાં સર્જાયેલી ખામીને કારણે અત્યંત વ્યસ્ત ગણાતા મેટ્રો કોરિડરમાં મેટ્રો સેવા ખોરવાઈ ગઈ હતી, તેને કારણે ઓફિસેથી ઘરે પાછા ફરી રહેલા મુંબઈગરાને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈ મેટ્રો વન પ્રાઈવેટલિમિટેડના પ્રવક્તાના જણાવ્યા મુજબ સાંજના ૫.૧૦ વાગે ૧૧.૪ કિલોમીટર લાંબા કોરિડોર પર અંધેરી સ્ટેશન પર ટેક્નિકલ ખામી સર્જાઈ હતી પણ ૫.૩૦ વાગ્યા સુધીમાં સર્વિસ પૂર્વવત્ થઈ ગઈ હતી. જોકે ચોક્કસ કંઈ ખામી સર્જાઈ હતી એ બાબતે તેમણે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું.
જોકે સૂત્રોના જણાવ્યા મુજબ અંધેરી સ્ટેશન પર રેકમાં ખામી સર્જાઈ હતી, જેને કારણે મેટ્રો ટ્રેન અટકી પડી હતી. અંધેરી સ્ટેશન પર ટ્રેન આખી ખાલી કરાવવામાં આવી હતી અને તેને બીજી ટ્રેનની મદદથી કારશેડમાં મોકલી દેવામાં આવી હતી.
સાંજના પીક અવર્સમાં મેટ્રો સેવા ખોરવાઈ જતા મેટ્રો સ્ટેશન પર જોકે લોકોની ભીડ થઈ ગઈ હતી. પ્રવાસીઓના દાવા મુજબ લગભડ અડધોથી પોણો કલાક સુધી વર્સોવાથી ઘાટકોપર સુધી કોઈ ટ્રેન નહોતી અને તે બાબતે સ્ટેશન પર કોઈ પ્રકારની એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી નહોતી.
નોંધનીય છે કે મુંબઈ મેટ્રો-વનમાં અઠવાડિયાના ચાલુ દિવસમાં દરરોજ પાંચ લાખ તો પીક અવર્સમાં ૫.૪૭ લાખ પર પહોંચી જતી હોય છે. આ મેટ્રો લાઈન ૮ જૂન ૨૦૧૪ના મુંબઈગરાની સેવામાં દાખલ થઈ હતી.
આપણ વાંચો: સરકાર ‘જેન-ઝી’ થી કેમ ડરે છે? ઉદ્ધવ ઠાકરે



