મુંબઈમાં વરસાદી પાણી ન ભરાય એ માટે માસ્ટર પ્લાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વરસાદી પાણીનો નિકાલ કરનારી ડ્રેનેજ લાઈનની ક્ષમતા પ્રતિ કલાકની ૧૦૦ મિ.મી. કરતા વધુ વરસાદની કરવામાં આવવાની છે. તેમ જ વરસાદનાં પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે તે માટે વધુ ચાર નવાં પમ્પિંગ સ્ટેશન પણ બનાવવામાં આવશે. કેન્દ્ર સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી મુંબઈ મહાનગરપાલિકાને ભંડોળ ઉપલબ્ધ થશે. બહુ જલદી તે માટે માસ્ટર પ્લાન બનાવવામાં આવવાનો પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈમાં હાલ વરસાદી પાણીનો નિકાલ કરનારી ડ્રેનેજ લાઈનની ક્ષમતા પ્રતિ કલાકની પંચાવન મિ.મી.ની છે, જેને કારણે વર્ષોથી થોડો વરસાદ પડે અને જો દરિયામાં ભરતી હોય તો તરત પાણી ભરાઈ જવાની સમસ્યા રહી છે. હવે જોકે આ ડ્રેનેજ લાઈનની ક્ષમતા પ્રતિ કલાકની ૧૦૦ મિલીમીટરથી પણ વધુ વરસાદની કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ ખાતાના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી મુંબઈને તે માટે વધારાનું ભંડોળ ઉપલબ્ધ થશે એવુંંં પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે જણાવ્યું હતું.
પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈની પૂરજનક પરિસ્થિતિની નોંધ કેન્દ્રના ગૃહ ખાતા હેઠળ આવતા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ લીધી છે. પહેલા તબક્કાની ઉપાયયોજના માટે ૫૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ કેન્દ્ર સરકારે પાલિકાને ઉપલબ્ધ કરી આપ્યું છે. શહેરની પૂરજનક પરિસ્થિતિનો અભ્યાસ કરીને એક એક્શન પ્લાન પાલિકાએ તૈયાર કર્યો છે, તેનો અભ્યાસ આઈઆઈટીની નિષ્ણાતોની બનેલી કમિટી કરી રહી છે. અહેવાલ તૈયાર થયા બાદ તેને અમલમાં મૂકવા પાછળ લગભ પાંચ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે એવો પ્રાથમિક અંદાજ છે. અહેવાલ તૈયાર કરવા સમયે મુંબઈની રેલવે, મેટ્રો, એમએમઆરડીએ સહિત અન્ય ઓથોરિટી સાથે ચર્ચા કરવામાં આવશે.
અધિકારીના જણાવ્યા મુજબ તાજેતરના વર્ષોમાં વાતાવરણમાં થયેલા મોટા ફેરફારની સાથે જ વરસાદની પેટર્ન પણ બદલાઈ ગઈ છે, જેને કારણે અનેક સમયે ટૂંકા ગાળામાં અમુક વિસ્તારોમાં જ ભારે વરસાદ પડી જતો હોય છે. અગાઉ મુખ્ય ડ્રેનેજ લાઈન (ગટર)ની પ્રતિ કલાક પચીસ મિલીમીટર વરસાદના પાણીનો નિકાલ કરવાની ક્ષમતા રાખતી હતી. ૨૦૦૬માં મુંબઈમાં આવેલા વિનાશકારી પૂર બાદ ચિતળે સમિતિની ભલામણ બાદ આ નાળાઓને પ્રતિ કલાકની પંચાવન મિ.મી. વરસાદી પાણીનો નિકાલ કરી શકે તે મુજબ પહોળા કરવામાં આવ્યા હતા. જોકે હવે વરસાદ જે રીતે ટૂંકા ગાળામાં તીવ્ર સ્વરૂપનો વરસી જાય છે તેને જોતા હવે વરસાદી પાણીનો નિકાલ કરનારા નાળાઓની ક્ષમતા પ્રતિ કલાકની ૧૦૦ મિ.મી.થી વધુ વરસાદી પાણીનો નિકાલ કરી શકે તેવા પહોળા કરવાની આવશ્યકતા નિર્માણ થઈ છે.
મુંબઈમાં ૨૦૧૭માં કુલ ૨૬ દિવસ તો ૨૦૨૪માં ૨૧ દિવસ ભારે વરસાદ પડયો હતો. પાલિકાના અભ્યાસ મુજબ શહેરમાં દર વર્ષે સરેરાશ ૧૬થી ૨૦ દિવસ ભારે વરસાદ પડતો હોય છે અને આ વરસાદ કલાકના ૧૦૦ મિ.મી. કરતા પણ વધુ હોય છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૧૯ના સમયગાળામાં કલાકના ૧૩૧ મિ.મી. તો ૧૯ મેના જે વરસાદ પડયો તો તે એક કલાકમાં ૧૮૨ મિ.મી. જટલો હતો. ૨૬ જુલાઈ, ૨૦૨૫ના અતિવૃષ્ટિ થઈ હતી તે સમયે મુંબઈમાં ૧૬ કલાકમાં લગભગ ૧,૦૦૦ મિ.મી. વરસાદ પડયો હતો. એ જ સમયે દરિયામાં ભરતી પણ હતી અને વરસાદી પાણીનો નિકાલ નહીં થઈ શકતા મુંબઈમાં પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. કલાકના ૧૦૦ મિ.મી. કરતા વધુ વરસાદ પડવો હવે મુંબઈમાં સામાન્ય થઈ ગયું છે.
અંધેરી અને કુર્લામાં પાણી ભરાવાથી રાહત મળશે
ડ્રેનેજ લાઈનની ક્ષમતા વધારવાની સાથે જ પંપિંગ સ્ટેશનોની સંખ્યા પણ વધારવામાં આવવાની છે. હાલ મુંબઈના નવ નાના પંપિંગ હોઈ તેમાં વધારો કરીને મહારાષ્ટ્ર નગર અને ધારાવી ટી જંકશન પાસે બે નવા નાનાં પંપિંગ સ્ટેશન ઊભા કરવામાં આવવાના છે. તો હાલ છ મોટા પંપિંગ સ્ટેશન છે, તેમાં વધારો કરીને મોગરા અને માહુલમાં બે નવા સ્ટેશન ઊભા કરવામાં આવવાના છે. તેથી કુર્લા અને અંધેરીમાં ભરાતાં પાણીનો નિકાલ થવામાં મદદ મળશે.