આમચી મુંબઈ

કાંદિવલી ઇન્ડસ્ટ્રિલ એસ્ટેટમાં ભીષણ આગ: જાનહાનિ નહીં…

મુંબઈ: કાંદિવલી પશ્ચિમ ખાતેના બોનાન્ઝા ઈન્ડિસ્ટ્રિયલ એસ્ટેટમાં શનિવારે સવારે સાત વાગ્યે ભીષણ આગ લાગી હતી. આ આગમાં કોઇ જાનહાનિ થઇ હોવાના અહેવાલ નથી.કાંદિવલીના અશોક ચક્રવર્તી રોડ પર આવેલા બોનાન્ઝા ઇન્ડસ્ટ્રિલ એસ્ટેટમાં આવેલી બે માળની ઇમારતમાં સવારે સાત વાગ્યે આગ લાગી હતી. ઘટનાસ્થળે પહોંચેલા અગ્નિશમન દળે આગ લેવલ-ટૂની હોવાનું જાહેર કર્યું હતું અને તાત્કાલિક આગ બુઝાવવાની શરૂઆત કરી હતી. બે માળની ઇમારતના પહેલા માળે સૌથી પહેલા આગ લાગી હતી અને સંપૂર્ણ ઇમારતમાં ધુમાડાનું સામ્રાજ્યમાં ફેલાયું હતું. થોડા સમયમાં અગ્નિશમન દળ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

ઘટનાસ્થળે પાલિકાના કર્મચારી, પોલીસ, અદાણી ઇલેક્ટ્રિસિટી, ૧૦૮ એમ્બ્યુલન્સ તથા જાહેર બાંધકામ વિભાગની ટીમ હાજર રહી હતી. આગ બુઝાવવા માટે છ ફાયર એન્જિન, બે ફાયર ટેન્ડર, છ મોટાં ટેન્કર હાજર હતા. આગમાં કોઇ જાનહાનિ થઇ નથી. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી આગ લાગવાની ઘટના બની રહી છે. તાજેતરમાં જ દક્ષિણ મુંબઈમાં આવેલી ઇડીના કાર્યાલયમાં આગ લાગી હતી જેમાં મહત્ત્વના દસ્તાવેજો બળીને રાખ થઇ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સોમવારે પેડર રોડ પરની એક દુકાનમાં આગ લાગી હતી. મોટા ભાગની આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. તેથી અગ્નિશમન દળે મુંબઈગરાઓને વિશેષ સાવચેતી રાખવાની અપીલ કરી છે.

શોર્ટ સર્કિટ ટાળવા શું કરવું?
હાલ ઉનાળાની ગરમીને કારણે વીજળીનો ઉપયોગ વધુ થઇ રહ્યો છે ત્યારે ઇલેક્ટ્રિક સિસ્ટમ પર દબાણ આવવાને કારણે શોર્ટ સર્કિટની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. તેથી નાગરિકોએ કાળજી રાખવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ઘરના વીજળીના વાયરો, સ્વીચ, પ્લગ વગેરે ઉપકરણોની તપાસ કરાવી લેવી. જૂનું વાયરિંગ બદલાવી લેવું. આગ લાગે એવી સ્થિતિમાં ક્યા રસ્તેથી બહાર નીકળવું તે નક્કી કરી રાખવું અને તે રસ્તો ખાલી રાખવો. એક જ પ્લગમાં અનેક વિદ્યુત ઉપકરણો લગાવવાનું ટાળવું. ઓવરલોડિંગ ટાળવું. એસીની સર્વિસ કરાવીને જ તેનો ઉપયોગ કરવો. ઇમારતોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ચકાસી લેવી. રાત્રે સૂતી વખતે મોબાઇલ ચાર્જિંગમાં રાખવા નહીં. એવી સલાહ અગ્નિશમન દળ દ્વારા આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button