સરકારી યોજનાના અમલમાં ગેરરીતિઓ ન થાય એનું ધ્યાન રાખો: એકનાથ શિંદે

મુંબઇ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગરીબ અને સામાન્ય લોકોને લાભ મળે તે માટે વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી રહીલ છે, પરંતુ આવા લોકો પાસેથી પૈસા પડાવવાની પ્રવૃત્તિ યોગ્ય નથી. આથી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં એવા આકરા શબ્દોમાં એકનાથ શિંદેએ વહીવટીતંત્રને ગેરરીતિ રોકવા માટેનો આદેશ આપ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સાત યોજનાને યોગ્ય રીતે અમલી બનાવવા માટે લાભાર્થીઓની યાદી યુદ્ધ સ્તરે તૈયાર કરવાનો આદેશ પણ તેમણે આપ્યો હતો.
મુખ્ય પ્રધાનની અધ્યક્ષતા હેઠળ મંત્રાલયમાં એક વિવિધ મહત્ત્વાકાંક્ષી યોજના અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આયું હતું. સરકારની સાત યોજના મારી લાડકી બહેન, મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના, મુખ્યમંત્રી અન્નપુર્ણા યોજના, છોકરીઓને મફત ઉચ્ચ શિક્ષણ માટેની યોજના, મુખ્ય પ્રદાન તીર્થક્ષેત્ર દર્શન યોજના, મુખ્યમંત્રી બળીરાજા (ખેડૂત) વીજ સવલત યોજના અને મુખ્યમંત્રી વયોશ્રી (સિનિયર સિટિઝન) યોજના અંગેની માહિતી લેવામાં આવી હતી અને આ યોજનાના લાભાર્થીઓની યાદીઓ વહેલી તકે બનાવવાનો આદેશ જિલ્લાધિકારીઓને તેમ જ વિવિધ મંડળો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને મહામંડળોના પ્રતિનિધિઓને આપવામાં આવ્યો હતો.