મહારાષ્ટ્ર માટે સીટ શેરિંગની ફોર્મ્યુલા ફાઈનલ, કોંગ્રેસ-શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને કેટલી મળશે સીટો? જાણો

લોકસભા ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે, આવી સ્થિતિમાં રાજકીય પક્ષો તમામ પ્રકારની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. કોંગ્રેસ પાર્ટીની આગેવાની હેઠળના વિપક્ષી જૂથ ઈન્ડિયા એલાયન્સે પણ મહારાષ્ટ્ર માટે સીટ વહેંચણીની ફોર્મ્યુલા તૈયાર કરી છે, જે ઉત્તર પ્રદેશ પછી સૌથી વધુ બેઠકો ધરાવે છે. મિડીયા અહેવાલમાં જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પાર્ટીને મહારાષ્ટ્રમાં ઈન્ડિયા એલાયન્સ હેઠળ 15 બેઠકો મળવા જઈ રહી છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના 23 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે. શરદ પવારના જૂથની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી મહારાષ્ટ્રમાં 10 બેઠકો પર ચૂંટણી લડશે.
પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી પણ મહારાષ્ટ્રમાં ઈન્ડિયા એલાયન્સનો હિસ્સો છે. આવી સ્થિતિમાં, તેને જે બેઠકો મળશે તે શરદ પવારના જૂથની એનસીપીની હશે. સૂત્રોનું કહેવું છે કે ઈન્ડિયા એલાયન્સ દ્વારા સીટ શેરિંગની આ ફોર્મ્યુલા લગભગ મંજૂર થઈ ગઈ છે અને તેના વિશે ટૂંક સમયમાં જાહેરાત પણ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે ઉત્તર પ્રદેશ પછી મહારાષ્ટ્ર લોકસભા સીટોની દ્રષ્ટિએ દેશનું બીજું સૌથી મોટું રાજ્ય છે, મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે.
NDAની સીટ વહેંચણીની ફોર્મ્યુલા શું હશે?
વિપક્ષી ઈન્ડિયા એલાયન્સ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના એનડીએના ઘટક પક્ષો વચ્ચે પણ બેઠકોની વહેંચણી અંગે ચર્ચા ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે એનડીએ પણ ટૂંક સમયમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા જાહેર કરશે. હાલમાં એનડીએ હેઠળ મહારાષ્ટ્રમાં ભાજપને સૌથી વધુ સીટો મળશે તેવું રાજકીય નિષ્ણાતો કહી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપને 31થી 32 બેઠકો મળી શકે છે. જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથની શિવસેનાને 10થી 11 બેઠકો મળી શકે છે. અજિત પવાર જૂથની NCPને 4 થી 5 બેઠકો મળી શકે છે. ટૂંક સમયમાં આ બેઠકો પર સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.