મહારાષ્ટ્રના વિધાનસભ્યો નાગ પંચમી પર સાપની પૂજા ફરી શરૂ કરાવવા માગે છે
બત્તીસ શિરાલામાં નાગ પંચમીનો તહેવાર ઐતિહાસિક મહત્વ ધરાવતી ધાર્મિક પરંપરા છે. આ તહેવારને શાળાના પાઠ્યપુસ્તકોમાં પણ સ્થાન મળ્યું છે અને વિદેશીઓ પણ જોવા આવે છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્યોએ બુધવારે માગ કરી હતી કે સાંગલી જિલ્લાના બત્તીસ શિરાલામાં નાગ પંચમી પર જીવંત સાપની પૂજા કરવાની પ્રથા ફરી શરૂ કરવામાં આવે.
ભાજપના વિધાનસભ્ય સત્યજીત દેશમુખે નાગની પૂજાનો મુદ્દો ઉઠાવવા માટે ધ્યાનાકર્ષક ઠરાવ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે તમિલનાડુમાં પ્રચલિત, પરંપરાગત અને પ્રાચીન બળદને કાબૂમાં રાખવાની રમત જલ્લીકટ્ટુને સુપ્રીમ કોર્ટે ફરીથી શરૂ કરી દીધી છે.
આપણ વાંચો: મહાકુંભમાં વસંત પંચમીના અમૃત સ્નાન પર યોગી આદિત્યનાથની બાજ નજર…
તેમણે જણાવ્યું હતું કે, ઔપચારિક અને ધાર્મિક હેતુઓ માટે હાથીઓનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે બત્તીસ શિરાલામાં નાગ પંચમીનો તહેવાર ઐતિહાસિક મહત્વ ધરાવતી ધાર્મિક પરંપરા છે. આ તહેવારને શાળાના પાઠ્યપુસ્તકોમાં પણ સ્થાન મળ્યું છે.
બત્તીસ શિરાલા ગામ શ્રાવણ મહિનામાં ઉજવાતા નાગ પંચમી પર જીવંત સાપની પૂજા કરવાની તેની જૂની પ્રથા માટે જાણીતું છે. 2002માં બોમ્બે હાઈકોર્ટે શહેરમાં સાપના સરઘસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
દેશમુખે આવી પૂજાની પદ્ધતિમાં સરિસૃપોને નુકસાન થયું હોવાના દાવાઓને ખોટા ગણાવ્યા હતા. વન ખાતાના પ્રધાન ગણેશ નાઈકે જણાવ્યું હતું કે, જીવંત સાપની પૂજાનો તહેવાર સ્થાનિક લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવે છે. જોકે, વન્યજીવ સંરક્ષણવાદીઓ કોર્ટમાં ગયા બાદ તેને બંધ કરી દેવામાં આવ્યો હતો.
આપણ વાંચો: મહાકાલ મંદિરની સુરક્ષામાં છિંડા, BJP MLAનો પુત્ર કાફલા સાથે પ્રવેશ્યો તો કલેક્ટરે કરી….
નાઈકે જણાવ્યું હતું કે આ સંદર્ભમાં 7-8 જુલાઈના રોજ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન ખાતાના પ્રધાન (ભૂપેન્દ્ર યાદવ) સાથે બેઠક યોજાશે. હું જોઈશ કે નિયમો અનુસાર આ પ્રથાને ફરીથી શરૂ કરવાની પરવાનગી કેવી રીતે મેળવી શકાય. સરકાર સરિસૃપને નુકસાન ન થાય અને ધાર્મિક પરંપરા ચાલુ રહે તે સુનિશ્ર્ચિત કરવાનો માર્ગ શોધી કાઢશે, એમ તેમણે જણાવ્યું હતું.
એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલે જણાવ્યું હતું કે તહેવાર દરમિયાન જીવંત સાપને સંભાળતી વખતે લોકોના મૃત્યુની કોઈ ઘટના નોંધાઈ નથી. ભાજપના સભ્ય ગોપીચંદ પડળકરે પણ દેશમુખની માગણીને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે વિદેશી પ્રવાસીઓ જીવંત સાપની પૂજા જોવા માટે શહેરમાં આવતા હતા.
દેશમુખે કહ્યું હતું કે, નાગ પંચમી પર સ્થાનિક લોકો જીવંત કોબ્રાની શોધી કાઢે છે અને તેમની પૂજા કરે છે અને તેમને નુકસાન પહોંચાડ્યા વિના તેમના કુદરતી વાતાવરણમાં પાછા છોડીને આવે છે.