પહેલીથી હિન્દી અમાન્ય, કેબિનેટમાં ચર્ચા થશે: અજિત પવાર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા શાળાઓમાં પહેલા ધોરણથી હિન્દી શીખવવાના નિર્ણયના વધતા વિરોધ વચ્ચે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શનિવારે કહ્યું હતું કે રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલા કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. બારામતીમાં પત્રકારોને સંબોધતાં એનસીપીના પ્રમુખે તેમના મંતવ્યને પુનરાવર્તિત કર્યું કે હિન્દી પાંચમા ધોરણથી શીખવવી જોઈએ.
‘અમે ક્યારેય એવું માનતા નથી કે શરૂઆતથી જ હિન્દી લાદવી જોઈએ. હિન્દી શીખવવા માટે કોઈ ફરજ નથી,’ એમ તેમણે કહ્યું હતું. ‘હિંદી કોઈ ફરજિયાત નથી. અમે માનીએ છીએ કે પોતપોતાના રાજ્યમાં દરેક વ્યક્તિએ પોતાની માતૃભાષા શીખવી જોઈએ. અમે કહ્યું હતું કે પાંચમા ધોરણથી હિન્દી વિશે વિચારવું જોઈએ. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણતા લોકોએ મરાઠી શીખવી જ જોઈએ કારણ કે તે ફરજિયાત વિષય છે. લોકોએ પાંચમા ધોરણથી (વૈકલ્પિક ભાષા વિશે) નિર્ણય લેવો જોઈએ,’ એમ નાયબ મુખ્ય પ્રધાન પવારે કહ્યું હતું.
‘વિધાનસભાનું સત્ર એક દિવસ પછી શરૂ થશે. અમે આ મુદ્દે (કેબિનેટની બેઠકમાં) રવિવારે ચર્ચા કરીશું. શરૂઆતથી જ હિન્દી લાદવાનો અમારો ક્યારેય મત નહોતો,’ એમ અજિત પવારે ઉમેર્યું હતું.