રાજ અને ઉદ્ધવ હિન્દી ‘લાદવા’ સામે ભાજપ સામે પડ્યા પણ અલગ અલગ શરદ પવારે સંયુક્ત વિરોધનું આહ્વાન કર્યું…

મુંબઈ: શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ગુરુવારે કહ્યું કે તેઓ રાજ્યના વિદ્યાર્થીઓ પર હિન્દી ભાષા લાદવાના તમામ પ્રયાસોનો વિરોધ કરશે અને ભારપૂર્વક જણાવ્યું કે તેઓ ‘ભાષા કટોકટી’ લાદવા અને ‘મરાઠી-ભાવના’ દૂર કરવાનો સત્તાધારી ભાજપની મહાયુતિ સરકારનો પ્રયાસ છે. અલગ-અલગ પત્રકાર પરિષદને સંબોધતા સેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ અનુક્રમે સાતમી અને પાંચમી જુલાઈએ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી.
ભાજપ મુખ્યત્વે મરાઠી ભાષી રાજ્યમાં ‘ભાષા કટોકટી’ લાદવાનો પ્રયાસ કરી રહી છે, એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું તેમણે એમ પણ કહ્યું હતું કે તેમનો પક્ષ હિન્દીનો વિરોધ કરતો નથી, પરંતુ તેના લાદવાની વિરુદ્ધ છે. ભાજપ ભાષાના આધારે લોકોમાં વિભાજન કરવાનો પ્રયાસ કરી રહી છે. તે ભાષા કટોકટી લાદી રહી છે,’ એમ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને દાવો કર્યો હતો અને ઉમેર્યું હતું કે આ પગલાં શાસક પક્ષના છુપાયેલા એજન્ડાનો ભાગ છે. જો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જાહેર કરે કે રાજ્યની શાળાઓમાં હિન્દી ફરજિયાત નહીં બનાવવામાં આવે તો વિવાદાસ્પદ ભાષાનો મુદ્દો ઉકેલી શકાય છે, એમ પણ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું કે 2019થી 2022 સુધીના મુખ્ય પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે મહારાષ્ટ્રની બધી શાળાઓમાં મરાઠીને ફરજિયાત વિષય બનાવવાનો નિર્ણય લીધો હતો. ઉદ્ધવ ઠાકરેએ એવી જાહેરાત કરી હતી કે તેમનો પક્ષ સાતમી જુલાઈના રોજ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં આ મુદ્દે આયોજિત આંદોલનમાં ભાગ લેશે. તેમણે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પણ ટીકા કરી હતી અને કહ્યું કે ‘ગદ્દારોને’ પાર્ટીના સ્થાપક સ્વ. બાળ ઠાકરેના આદર્શો વિશે જણાવવાની જરૂર છે.
આ વિવાદ પર બોલતા, મુખ્ય પ્રધાન ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું કે હિન્દી વૈકલ્પિક છે જ્યારે મરાઠી ફરજિયાત છે.
ગયા અઠવાડિયે રાજ્ય સરકારે એક સુધારેલો આદેશ જારી કર્યા પછી આ વિવાદ ઉભો થયો જેમાં કહેવામાં આવ્યું હતું કે મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ પહેલાથી પાંચમા સુધીના વિદ્યાર્થીઓને હિન્દી ‘સામાન્ય રીતે’ ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવશે. આદેશ મુજબ, જો શાળામાં પ્રતિ ધોરણ 20 વિદ્યાર્થીઓ કોઈપણ અન્ય ભારતીય ભાષાનો અભ્યાસ કરવા માગતા હોય, તો તેઓ હિન્દીનો ઉપયોગ છોડી શકે છે. જો આવી માગણી ઉભી થાય, તો કાં તો શિક્ષકની નિમણૂક કરવામાં આવશે અથવા ભાષા ઓનલાઈન શીખવવામાં આવશે.
મનસે પ્રમુખે કહ્યું કે તેઓ ત્રણ ભાષાના ફોર્મ્યુલા અને હિન્દી લાદવાની સાથે સાથે ‘મરાઠી ભાષા’ દૂર કરવાના સરકારના પગલાનો પણ વિરોધ કરે છે. રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે મનસેએ પાંચમી જુલાઈએ રોજ ગિરગામ ચોપાટીથી એક મોરચો શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે કોઈપણ પક્ષના ધ્વજ વગર મુંબઈના મરાઠીઓનું વિરોધ પ્રદર્શન હશે. શાળા શિક્ષણ ખાતાના પ્રધાન દાદા ભૂસે આ મુદ્દે સરકારનું વલણ સમજાવવા માટે રાજને મળ્યા હતા, તેમણે કહ્યું હતું કે તેમણે રમતગમત અને કલાને ભાષાને બદલે વધારાના વિષય બનાવવા અંગે સારા સૂચનો આપ્યા છે.
મંત્રાલયમાં બાદમાં પત્રકારોને સંબોધતા, ભૂસેએ કહ્યું કે ધોરણ પહેલા અને બીજાના વિદ્યાર્થીઓ માટે કોઈ પુસ્તકો નહીં હોય.
શિક્ષણનું માધ્યમ મૌખિક હશે અને આ બે ધોરણના વિદ્યાર્થીઓને ગીતો શીખવવામાં આવશે અને ચિત્રો બતાવવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે ધોરણ પહેલાથી હિન્દી ફરજિયાત ન કરવી જોઈએ, અને કોઈપણ નવી ભાષા, જો તે દાખલ કરવી હોય તો, ધોરણ પાંચમા પછી શીખવવી જોઈએ કારણ કે પ્રાથમિક સ્તરે નાના વિદ્યાર્થીઓને વધારાની ભાષાઓનો બોજ આપવો યોગ્ય નથી.
દેશનો એક મોટો વર્ગ હિન્દી બોલે છે, અને ભાષાને સંપૂર્ણપણે અવગણવાનું કોઈ કારણ નથી, એમ પણ પવારે કહ્યું હતું.
તેમણે પ્રારંભિક શિક્ષણમાં માતૃભાષાના મહત્વ પર ભાર મૂક્યો અને કહ્યું હતું કે માતાપિતાને નક્કી કરવાનો અધિકાર હોવો જોઈએ કે તેમના બાળકોને ધોરણ પાંચમા પછી હિન્દી શીખવાની જરૂર છે કે નહીં. રાજ્ય સરકારે ધોરણ પહેલાથી હિન્દી ફરજિયાત બનાવવાનો પોતાનો આગ્રહ છોડી દેવો જોઈએ, એમ ભારપૂર્વક જણાવતા, પવારે કહ્યું કે તેઓ ઠાકરે પિતરાઈ ભાઈઓ દ્વારા લેવામાં આવેલા વલણને સમર્થન આપે છે.

મરાઠી ભાષી વસ્તી આ બાબતે એક થાય તો તે સારું છે, એમ વિપક્ષી નેતાએ જણાવ્યું હતું.મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે કહ્યું હતું કે તેમનો પક્ષ મરાઠી ભાષા માટે કરવામાં આવી રહેલા તમામ વિરોધ અને આંદોલનોમાં ભાગ લેશે. ‘આ મુદ્દો ફક્ત રાજકીય નથી. તે મહારાષ્ટ્રની ઓળખ, તેની ભાષા અને તેના સાંસ્કૃતિક વારસા વિશે છે,’ એમ સપકાળે ભારપૂર્વક જણાવ્યું હતું.
કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકારે ઉદ્ધવ અને રાજ ઠાકરેના દબાણ હેઠળ આવી જવાની કોઈ આવશ્યકતા નથી. ભાષાના મુદ્દાનું રાજકારણ કરવા બદલ અલગ થયેલા પિતરાઈ ભાઈઓ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે ‘હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે અને તેનો વિરોધ કરવો એ બંધારણનો વિરોધ કરવા જેવું છે.’
આપણ વાંચો : ઠાકરે ભાઈઓ પાંચ જુલાઈએ એક સાથે આવશે…