તહવ્વુર રાણાનું સરનામું હશે મુંબઈની આ જેલ, ફડણવીસે આપ્યો સંકેત…
![tahawwur rana to be jailed in maharashtra](/wp-content/uploads/2025/02/tahawwur-rana-extradition.jpg)
મુંબઈઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) મુંબઈના 26/11 આતંકી હુમલાના દોષિ તહવ્વુર રાણાના (Tahawwur Rana Extradition) ભારત પ્રત્યર્પણને મંજૂરી આપી હતી. તેમણે કહ્યું, તેણે ન્યાયનો સામનો કરવો પડશે. ગત મહિને અમેરિકાની સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાના ભારત પ્રત્યર્પણને મંજૂરી આપી હતી. ભારતે અમેરિકાની એજન્સી સાથે વિગતો શેર કરી હતી. જે લૉઅર કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં રાખવામાં આવી હતી. ભારતના આ પુરાવાનો કોર્ટે સ્વીકાર કર્યો હતો. ભારત દ્વારા આપવામાં આવેલા પુરાવામાં 26/11 હુમલામાં તહવ્વુરના રોલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
Also read : અલાહાબાદિયા પોલીસ સ્ટેશન જઈને પોતાનું નિવેદન કેમ નોંધાવી રહ્યો નથી, જાણો કારણ?
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું
આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું હતું કે 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને અમેરિકાથી પ્રત્યર્પણ કર્યા બાદ જેલમાં રાખવા માટે રાજ્ય સરકાર તૈયાર છે. શુક્રવારે નવી દિલ્હીના નોર્થ બ્લોકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે સમીક્ષા બેઠક બાદ ફડણવીસે રાણાના પ્રત્યર્પણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
રાણાના પ્રત્યર્પણ બાદ મહારાષ્ટ્રની તૈયારીઓ વિશે પૂછવામાં આવતા ફડણવીસે કહ્યું, ‘અમે કસાબને રાખ્યો છે, તેમાં મોટી વાત શું છે. અમે ચોક્કસપણે તેને (રાણા) પણ રાખીશું. મુખ્ય પ્રધાન તહવ્વુર રાણાના પ્રત્યર્પણની મંજૂરી મળ્યા બાદ રાજ્યની જેલોમાં સુરક્ષાની ખાતરી આપી હતી. તેમણે સુરક્ષાની ચિંતાઓને ટાંકીને 26-11 આતંકવાદીઓમાંથી એક અજમલ કસાબની અટકાયતનો ઉલ્લેખ કર્યો હતો. તપાસ દરમિયાન આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા સાબિત થઈ હોવાનું ફડણવીસે જણાવ્યું હતું. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો તેના (રાણાના) પ્રત્યર્પણ માટે આભાર માનું છું. અમે બધા ઇચ્છતા હતા કે મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડને ભારતને સોંપવામાં આવે. શરૂઆતમાં, યુ. એસ. રાણાને ભારતને સોંપવા માટે અનિચ્છા ધરાવતું હતું અને તેને બચાવવા માંગતું હતું, પરંતુ વડા પ્રધાનની પહેલને કારણે, રાણાના પ્રત્યર્પણને યુ. એસ. અને તેના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક રીતે મંજૂરી આપવામાં આવી છે. મને લાગે છે કે તે ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
અજમલ કસાબ એકમાત્ર આતંકવાદી છે જેને 26 નવેમ્બર, 2008 ના મુંબઈ આતંકવાદી હુમલાના કેસમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. કસાબને 2012માં પૂણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી. આ આતંકવાદી હુમલામાં તહવ્વુર રાણા પછી હવે મુંબઈ પોલીસ અબુ જિંદાલની રાહ જોઈ રહી છે. જિંદાલ પાકિસ્તાની છાવણીમાં આતંકવાદીઓનો હેન્ડલર હતો, જ્યારે તહવ્વુર રાણા મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટર માઇન્ડ છે.
Also read : માત્ર 25 કરોડની ચોરી પકડવા ગયેલી પોલીસ પણ ચોંકી ગઈ જ્યારે આંકડો આટલો નીકળ્યો
તહવ્વુર રાણાનો ડેવિડ હેડલી સાથે શું છે સંબંધ
તહવ્વુર રાણા અને ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ સઈદ ગિલાની બાળપણના મિત્ર છે. હેડલી એક અમેરિકન નાગરિક છે. તેની માતા અમેરિકન અને પિતા પાકિસ્તાની હતા. અમેરિકન અધિકારીઓ દ્વારા ઓક્ટોબર 2009માં તેની શિકાગોથી ધરપકડ કરવામાં આવી હતી. હેડલીને અમેરિકન કોર્ટે 24 જાન્યુઆરી, 2013ના મુંબઈ હુમલામાં સામેલ હોવા માટે દોષી માનીને 35 વર્ષ જેલની સજા સંભળાવી હતી. તહવ્વુર રાણાએ પાકિસ્તાનની હસન અબ્દાલ કૈડેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. હેડલીએ અમેરિકા શિફ્ટ થયો તે પહેલાં ત્યાં જ 5 વર્ષ અભ્યાસ કર્યો હતો. પાકિસ્તાની સેનામાં એક ડૉક્ટર તરીકે તેમના કાર્યકાળ બાદ તહવ્વુર રાણા કેનેડા શિફ્ટ થઈ ગયો હતો અને થોડા વર્ષોમાં ત્યાંનો જ નાગરિક બની ગયો હતો. તેણે શિકાગોમાં ફર્સ્ટ વર્લ્ડ ઈમિગ્રેશન સર્વિસેઝ નામની એક કન્સલટેંસી ફર્મની સ્થાપના કરી હતી. રાણાની કંપનીની એક બ્રાંચ મુંબઈમાં હતી, તેણે હેડલી કોલમેનને મુંબઈમાં રેકી કરવામાં મદદ કરી હતી અને પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકીએ 26 નવેમ્બર, 2008ના રોજ નિશાન બનાવ્યું હતું.