મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય: નેતાઓ અને આંદોલનકારીઓ સામેના કેસ પાછા ખેંચાશે

મુંબઈઃ દેશના મોટા ભાગના રાજ્યોમાં પોલીસ કેસનો એટલો જ ભરાવો છે, જેટલો કોર્ટ કેસનો. તેને ધ્યાનમાં રાખીને એક વણલખ્યો નિયમ એવો છે કે અપરાધની શ્રેણીમાં ન આવતા હોય તેવા કેસો પાછા ખેંચી લેવા, જેથી સમય અને ઊર્જાને જરૂરી કાર્યમાં વાપરી શકાય, તેથી નવી સરકાર બન્યા પછી રાજકારણીઓ અને આંદોલનકારીઓ સામે દાખલ કરાયેલા મોટા ભાગના કેસ પાછા ખેંચી લેવામાં આવે છે. આ બધા કેસ આંદોલનો અને વિરોધ પ્રદર્શનો દરમિયાન નોંધાયેલા હોય છે. જોકે, સરકાર ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા કેસોને માફ કરતી નથી અને આ કેસોમાં દોષિત નેતાને સજા ભોગવવી પડે છે.
હવે મહારાષ્ટ્રમાં પણ નવી સરકાર બન્યા પછી આ મામલે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે રાજકીય અને સામાજિક આંદોલનો સંબંધિત ફોજદારી કેસ પાછા ખેંચવાનો નિર્ણય લેતો GR (સરકારી ઠરાવ) બહાર પાડ્યો છે. જોકે, 31 માર્ચ, 2025 પહેલા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોય ફક્ત તે જ કેસ પાછા ખેંચવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે 31 ઓગસ્ટ, 2024 સુધીમાં જે કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોય, તે પાછા ખેંચી લેવાનો આદેશ જારી કર્યો હતો. જોકે, પાછળથી સરકારે આ સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય લીધો. હવે તેને 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે.
સરકારે આદેશમાં શું કહ્યું?
રાજ્યના ગૃહ વિભાગે એક આદેશમાં કહ્યું હતું કે 31 ઓગસ્ટ, 2024 સુધીમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવેલા તમામ કેસ પાછા ખેંચી લેવામાં આવશે. જોકે, અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક કેસ એવા હતા જેમાં આ તારીખ પછી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. શુક્રવારે જારી કરાયેલા ‘સરકારી ઠરાવ’ અથવા આદેશ મુજબ, સામાન્ય લોકોના હિતમાં આંદોલન કરી રહેલા રાજકીય પક્ષોના કાર્યકરો અને સામાજિક કાર્યકરો સામે નોંધાયેલા કેસો, જેમાં આ વર્ષે 31 માર્ચ સુધી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, તે પાછા ખેંચવામાં આવશે.
આ પણ વાંચો - શિવસેના યુબીટીની હાલત મુંબઈની ‘જોખમી’, ‘જર્જરિત’ ઇમારતો જેવી: શેલાર
મહારાષ્ટ્ર સરકારનો વધુ એક GR ચર્ચામાં છે
તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે એક GR બહાર પાડ્યો હતો જેમાં જણાવાયું હતું કે પહેલા ધોરણથી પાંચમા ધોરણ સુધીની શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવું ફરજિયાત રહેશે. જોકે, આ આદેશનો ભારે વિરોધ થયો હતો. આ પછી, તેમાં સુધારો કરવામાં આવ્યો અને કોઈપણ ભારતીય ભાષાને ત્રીજી ભાષા તરીકે શીખવવાની મંજૂરી આપવામાં આવી. અહીં, દરેક શાળાએ મરાઠીને પ્રથમ ભાષા તરીકે અને અંગ્રેજીને બીજી ભાષા તરીકે શીખવવું ફરજિયાત છે. હિન્દી અથવા અન્ય કોઈ પણ ભારતીય ભાષાને ત્રીજી ભાષા તરીકે શીખવી શકાય છે.