મહારાષ્ટ્ર સરકારે બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા દસ્તાવેજોની તપાસનો આદેશ આપ્યો
સરકારે શુક્રવારે રાત્રે આ માટે સરકારી ઠરાવ (જીઆર) બહાર પાડ્યો...

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે, દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે વિવિધ વિભાગોને વિશેષત: ઓળખ, રહેઠાણ અને લાભો મેળવવાના હક સંબંધિત દસ્તાવેજોની યોગ્ય રીતે તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સંસાધનોના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરતાં સરકારે શુક્રવારે રાત્રે બહાર પાડેલા સરકારી ઠરાવ (જીઆર)માં બધા જ વિભાગોને બનાવટી અથવા તો ચેડાં કરેલા દસ્તાવેજોને આધારે સરકારી પ્રમાણપત્રો મેળવનારા લોકોનો રેકોર્ડ રાખવા જણાવવામાં આવ્યું છે.
આ વ્યક્તિઓની ઓળખ થઈ ગયા પછી, તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને તેમની વિગતો વિભાગીય વેબસાઇટ્સ પર જાહેરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી અન્ય વિભાગોના સરકારી ભંડોળનો વધુ દુરુપયોગ ન થાય. વ્યક્તિગત કલ્યાણ યોજનાઓ હેઠળ લાભ મેળવવા માગતા અરજદારોએ હવે તેમની ભારતીય નાગરિકતાની પુષ્ટિ કરતા ઘોષણાપત્રો પર સહી કરવાની રહેશે અને સ્વીકારવું પડશે કે નકલી દસ્તાવેજો પર આધારિત કોઈપણ ખોટા દાવા પર ફોજદારી કાર્યવાહી થઈ શકે છે,’ એમ જીઆરમાં જણાવાયું છે.
જીઆરમાં એમ પણ જણાવાયું છે કે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ, ખાસ કરીને શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં, સબસિડી અને રોજગારની તકો મેળવવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરી રહ્યા છે.
આપણ વાંચો : મુંબઈમાં ઐતિહાસિક પહેલ: ધર્મસ્થળો પરથી લાઉડસ્પીકર દૂર કરવામાં સફળતા…