મહારાષ્ટ્રમાં નક્સલવાદનો અંત નજીક: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ…

ગઢચિરોલી: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર નક્સલવાદ મુક્ત થવા તરફ આગળ વધી રહ્યું છે કારણ કે માઓવાદી કાર્યકરો પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી રહ્યા છે અને ગેરકાયદે ચળવળમાં નવી ભરતીઓ નથી થઈ રહી.
આ પણ વાંચો : જળગાંવમાં બે જૂથો વચ્ચે અથડામણ, પથ્થરમારો અને આગચંપી, ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત
ગઢચિરોલીની મુલાકાત દરમિયાન, ફડણવીસે પત્રકારોને જણાવ્યું હતું કે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં નક્સલવાદીઓનું વર્ચસ્વ સમાપ્ત થઈ રહ્યું છે અને ટોચના નક્સલવાદી દ્વારા શસ્ત્રો હેઠાં મૂકીને આત્મસમર્પણ કરવાના પગલાનું તેમણે સ્વાગત કર્યું છે.
‘નક્સલવાદનો અંત નજીક છે,’ એમ તેમણે એક પ્રશ્નનના જવાબમાં કહ્યું હતું.
માઓવાદીઓના વર્ચસ્વને દૂર કરીને ગઢચિરોલીને ‘પ્રથમ જિલ્લો’ બનાવવાની પ્રક્રિયા સરકારે શરૂ કરી છે, એમ પણ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યની પૂર્વ સરહદ પર આવેલા ગઢચિરોલીને ઘણીવાર મહારાષ્ટ્રનો છેલ્લો જિલ્લો તરીકે ઓળખાવવામાં આવે છે.
ફડણવીસે વિદર્ભ ક્ષેત્રમાં સ્થિત જિલ્લામાં 32 કિલોમીટર લાંબા ગટ્ટા-ગર્દેવાડા-વાંગેતુરી રોડ પર થઈને વાંગેતુરી-ગર્દેવાડા-ગટ્ટા-આહેરી રૂટની મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની બસ સેવાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ગઢચિરોલી છેલ્લો નથી, પરંતુ સરકાર માટે ‘પ્રથમ જિલ્લો’ (પ્રાથમિકતાની યાદીમાં) છે.
તેમણે કહ્યું કે આજે ઉદ્ઘાટન કરાયેલ રોડ લિંક મહારાષ્ટ્રને સીધો છત્તીસગઢ સાથે જોડશે.
નક્સલવાદીઓનું પ્રભુત્વ ધરાવતો ભાગ આતંકમાંથી મુક્ત થઈ રહ્યો છે, જેના કારણે લોકોને આઝાદીના 75 વર્ષ પછી એસટીની બસ સેવાઓ મળી રહી છે, એમ તેમણે કહ્યું હતું.
ફડણવીસે નક્સલવાદ સામેના તેમના કાર્ય બદલ ગઢચિરોલી પોલીસની પ્રશંસા કરી અને કહ્યું કે લોકો હવે નક્સલવાદીઓને ટેકો આપતા નથી અને એક પણ વ્યક્તિ હવે ગેરકાયદે ચળવળમાં જોડાવા તૈયાર નથી.
આ પણ વાંચો : એકનાથ શિંદેએ બુલેટ ટ્રેનના દિવા સ્ટેશનને થાણે સાથે જોડવા માટે નવી મેટ્રો લાઇનની જાહેરાત કરી
આ ખૂબ જ મહત્વપૂર્ણ છે,’ એમ તેમણે જણાવ્યું હતું.