Maharashtra: ડ્રાફ્ટ અભ્યાસક્રમમાં Bhagavad Gita અને સ્વામી રામદાસના શ્લોકોનો સમાવેશ

મુંબઈ : મહારાષ્ટ્રમાં(Maharashtra) રાજ્ય બોર્ડ શાળાના અભ્યાસક્રમમાં મનચે શ્લોકા (રામદાસ સ્વામી દ્વારા લખેલા શ્લોકો) અને ભગવદ ગીતાના(Bhagavad Gita) બારમા અધ્યાયને સામેલ કરાશે. જેમાં નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)ને અનુરૂપ શાળા શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસક્રમ ફ્રેમવર્ક (SCF) માટે લોકો પાસેથી વાંધા- સૂચનો મંગાવવામાં આવ્યા છે.આ ડ્રાફ્ટ અભ્યાસક્રમમાં ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS)ના સમાવેશ પર ભાર મૂકવામાં આવ્યો છે.
યુવાનોના મનમાં તેમના વિચારોને ઠસાવવાનો પ્રયાસ : શરદ પવાર
જ્યારે આ ડ્રાફ્ટ પર પ્રતિક્રિયા આપતા, NCP ના સ્થાપક શરદ પવારે કહ્યું, “મેં સંશોધિત અભ્યાસક્રમમાં મનુસ્મૃતિ અંગે વાંચ્યું છે. આનાથી સરકારમાં બેઠેલા લોકોની માનસિકતા છતી થાય છે. શિક્ષણ ક્ષેત્રના વિદ્વાનોએ આની સામે અવાજ ઉઠાવવો જોઈએ. જો નહિ ઉઠાવે તો એવી ઘણી સંસ્થાઓ છે જે ચૂપ નહીં રહે. તેઓ યુવાનોના મનમાં તેમના વિચારોને ઠસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જલદી ડ્રાફ્ટ મારા હાથમાં આવશે, હું તમારી સાથે વાત કરીશ.”
જ્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ જણાવ્યું હતું કે તેમની પાર્ટી અભ્યાસક્રમમાં મનુસ્મૃતિને ક્યારેય આવવા નહિ દે. તેમણે ઉમેર્યું હતું કે દરેક વસ્તુની તપાસ કર્યા પછી આગળના પગલાં લેવામાં આવશે.
વિદ્યાર્થીઓ સંતો જેવા ધાર્મિક વ્યક્તિઓના જીવનનો અભ્યાસ કરે
ડ્રાફ્ટ પ્રસ્તાવ સૂચવે છે કે વિદ્યાર્થીઓ સંતો જેવા ધાર્મિક વ્યક્તિઓના જીવનનો અભ્યાસ કરે અને ભગવદ ગીતા અને મનચે શ્લોકોનું પઠન કરે. વિદ્વાનોએ મૂલ્ય અભ્યાસ માટે મનચે શ્લોકાનો સમાવેશ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે અને તેની યોગ્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે ડ્રાફ્ટ મુજબ, વિદ્યાર્થીઓ ભાસ્કરાચાર્ય અને આર્યભટ્ટ જેવા ગણિતમાં ભારતીય વિદ્વાનોના યોગદાનની શોધ કરશે. તેઓ ચરક, સુશ્રુત અને વાગ્ભટ્ટ દ્વારા લખાયેલા યોગ અને ઔષધ વિજ્ઞાન વિશે પણ શીખશે.
શાળા શિક્ષણ વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટર વસંત કાલપાંડે જણાવ્યું હતું કે ” આ વિષયોનો સમાવેશ કરવાનું કોઈ નૈતિક કારણ નથી. વિભાગે આ ડ્રાફ્ટને રદ કરીને નવો ડ્રાફ્ટ જાહેર કરવો જોઈએ. આ ડ્રાફ્ટ પોલિસીમાં ભારતીય બંધારણમાં અપાયેલા અધિકારો અને નાગરિકોની ફરજોના શિક્ષણ પર એક પણ શબ્દ નથી
શિક્ષણમાં IKS નો સમાવેશ અસ્વીકાર્ય : કિશોર દરક
ડ્રાફ્ટ પોલિસીની ટીકા કરતા, શિક્ષણ શાસ્ત્રી કિશોર દરકે કહ્યું, “શિક્ષણમાં IKS નો સમાવેશ અસ્વીકાર્ય છે. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો કરે છે – IK ની રચના શું છે? કોનું જ્ઞાન, કોની પરંપરા ‘ભારતીય’? શું તેમાં અન્ય સામાજિક જૂથોના ભૂતકાળના ઐતિહાસિક તથ્યોના ભોગે હિંદુ બ્રાહ્મણ પરંપરાના પૌરાણિક પાત્રોનો સમાવેશ કરી શકાય? મનચેના શ્લોકો અથવા ભગવદ ગીતાને ‘કઠોરતાથી શીખવા’ માટે લખવું એ વાહિયાત છે. આ ડ્રાફ્ટ કોઈપણ રાજ્યને કરવાનો અધિકાર નથી.”
ભાષા અંગે મૂંઝવણ
જ્યારે બિન-મરાઠી માધ્યમની શાળાઓમાં મરાઠીનું શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે, ત્યારે આ યોજનામાં સ્પષ્ટ જોગવાઈઓનો અભાવ છે. અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, કન્નડ, પંજાબી, સિંધી અને તમિલ સહિત વિવિધ માધ્યમો ધરાવતી શાળાઓમાં ભાષાના વિકલ્પો અંગે મૂંઝવણ છે. શિક્ષણવિદોએ જણાવ્યું હતું કે આ યોજનામાં સ્પષ્ટ નથી કે આ શાળાઓમાં મરાઠી પ્રથમ ભાષા કે શિક્ષણનું માધ્યમ હોવું જોઈએ.