મહારાષ્ટ્ર બંધઃ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું અમે હાઈ કોર્ટના ચુકાદાનું સન્માન કરીશું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને, શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે સાંજે અગાઉથી જાહેર કરાયેલા 24 ઓગસ્ટના મહારાષ્ટ્ર બંધને પાછો ખેંચવાની જાહેરાત કરી હતી, તેમનું નિવેદન બોમ્બે હાઈ કોર્ટના ચુકાદાના કલાકો પછી આવ્યું હતું, જેણે રાજકીય પક્ષોને અને મહારાષ્ટ્ર બંધનું એલાન કરતા વ્યક્તિઓને બંધના એલાન પર રોક લગાવી હતી.
ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અમે કોર્ટના નિર્ણયને સ્વીકારતા નથી, પરંતુ અમે તેનું સન્માન કરીએ છીએ. અને તેથી જ મહાવિકાસ આઘાડી દ્વારા શનિવારના પ્રસ્તાવિત બંધને પાછો ખેંચી લેવામાં આવે છે.
આ પણ વાંચો : આ પણ વાંચો: Badlapur child abuseઃ આરોપીનો કેસ નહીં લડવાની વકીલોની જાહેરાત, MVAએ કર્યું મહારાષ્ટ્ર બંધનું એલાન…
ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે બંધને પાછો ખેંચી લેવામાં આવ્યો હોવા છતાં વિપક્ષી નેતાઓ અને કાર્યકર્તાઓ રાજ્યની સરકાર સામે પોતાનો વિરોધ ચાલુ રાખશે અને આખા રાજ્યમાં બધા જ વિપક્ષી કાર્યકર્તા અને નેતાઓ પોતાના મોં પર કાળી પટ્ટી બાંધી રાખશે.
કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી) નો સમાવેશ કરતા વિપક્ષી જૂથ મહા વિકાસ આઘાડી (એમવીએ) એ બદલાપુર ઘટનાના વિરોધમાં મહારાષ્ટ્ર બંધનું શનિવારે આહ્વાન કર્યું હતું.
કાળા વાવટા લઈને વિરોધ પ્રદર્શન કરાશે: નાના પટોલે
મુંબઈ હાઈ કોર્ટ દ્વારા મહારાષ્ટ્ર બંધ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવતાં કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી હતી કે મુંબઈ હાઈ કોર્ટના આદેશને પગલે બંધ પાછો ખેંચી લેવામાં આવ્યો છે, પરંતુ આખા રાજ્યમાં વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ કાળા વાવટા અને મોં પર કાળી પટ્ટીઓ બાંધીને ઠેર ઠેર રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે. આ દેખાવો સવારે 11.00 વાગ્યાથી બપોર સુધી કરવામાં આવશે.