લાતુરમાં ઓબીસી યુવકની આત્મહત્યા: વડેટ્ટીવારે મહારાષ્ટ્ર સરકાર અને મરાઠા જીઆરને જવાબદાર ઠેરવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે શુક્રવારે લાતુરમાં એક વ્યક્તિની આત્મહત્યા માટે મહારાષ્ટ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી અને મનોજ જરાંગેની આગેવાની હેઠળના આંદોલનને પગલે તાજેતરમાં જારી કરાયેલા મરાઠા અનામતના જીઆર અંગે અન્ય પછાત વર્ગો (ઓબીસી)માં ફેલાયેલા ગુસ્સાને જવાબદાર ઠેરવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, ભરત કરાડ (35)એ બુધવારે સાંજે માંજરા નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી.
કોંગ્રેસ વિધાનસભા પક્ષ (સીએલપી)ના નેતા વડેટ્ટીવારે જણાવ્યું હતું કે કરાડે એક નોંધ છોડી છે જેમાં જણાવ્યું હતું કે તેઓ સરકારના નિર્ણયના વિરોધમાં પોતાનું જીવન સમાપ્ત કરી રહ્યા છે, જે તેમના મતે ઓબીસીના અનામત અધિકારોને નુકસાન પહોંચાડશે.
આ પણ વાંચો: મરાઠા અનામત જીઆર: છગન ભુજબળનું પહેલું મોટું પગલું: મુખ્ય પ્રધાન સામેની નારાજી વ્યક્ત કરવા કેબિનેટની બેઠકનો બહિષ્કાર
‘આ એક દુ:ખદ ઘટના છે. આ જીઆર જારી કરીને, સરકારે ઓબીસી પર અન્યાય કર્યો છે. તેઓ એવો દાવો કરે છે કે ઓબીસીની અનામતને અસર થશે નહીં, પરંતુ વાસ્તવમાં, તે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મહાયુતિ સરકાર આ આત્મહત્યા માટે જવાબદાર છે,’ એમ વડેટ્ટીવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.
તેમણે એવી માગણી કરી હતી કે, જીઆર તાત્કાલિક પાછો ખેંચી લેવામાં આવે અને ચેતવણી આપી હતી કે યુવાનોમાં વધી રહેલા રોષને હિંસક રીતે ભડકવા દેવો જોઈએ નહીં.
આ પણ વાંચો: ભુજબળે સરકારને મરાઠાઓ માટે કુણબી જાતિ પ્રમાણપત્રો પર જીઆર પાછો ખેંચવા વિનંતી કરી
‘કરાડનું બલિદાન વ્યર્થ નહીં જાય. જ્યાં સુધી આ જીઆર રદ ન થાય અને પાછલા દરવાજેથી પ્રવેશ બંધ ન થાય ત્યાં સુધી અમે લડતા રહીશું. તે જ સમયે, હું યુવાનોને આત્મહત્યા ન કરવાની અપીલ કરું છું,’ એમ વડેટ્ટીવારે કહ્યું હતું.