12 કલાકના વિલંબ બાદ આખરે લાલબાગચા રાજાનું વિસર્જન… | મુંબઈ સમાચાર
Top Newsઆમચી મુંબઈ

12 કલાકના વિલંબ બાદ આખરે લાલબાગચા રાજાનું વિસર્જન…

મુંબઈઃ મુંબઈના જાણીતા અને માનીતા લાલબાગચા રાજાનું વિસર્જન કલાકો સુધી વિલંબમાં પડ્યા બાદ આખરે રવિવારે રાતે થયું હતું. ફટાકડા અને ભક્તોના જલ્લોશ વચ્ચે બાપ્પાએ મુંબઈથી વિદાય લીધી હતી.

લાલબાગચા રાજા મુંબઈ અને મુંબઈગરાની જાન છે અને આજે સવારથી ભરતીને કારણે બાપ્પાનું વિસર્જન ખોરવાઈ પડ્યું હતું. આ સિવાય ગુજરાતથી લાવેલી નવી ટ્રોલીમાં પણ ખરાબી થઈ હતી જેને કારણે ભક્તો અને મંડળના કાર્યકર્તાઓના જીવ પડીકે બંધાઈ ગયા હતા. પહેલા મંડળ દ્વારા ભરતી ઓછી થાય ત્યાર બાદ જ વિસર્જન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને સાંજે પાંચ છ વાગે બાપ્પાનું વિસર્જન કરાશે એવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ એવું થઈ શક્યું નહીં અને આખરે રવિવારે રાતે સાડાઆઠ વાગ્યાની આસપાસ લાલબાગચા રાજાની આરતી વગેરે કરીને વિસર્જનની શરૂઆત કરવામાં આવી હતી. 12 કલાકના વિલંબ બાદ આખરે ફટાકડા અને ભક્તોના જલ્લોષ સાથે બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

લાલબાગચા રાજા સમુદ્રમાં આવેલી ભરતીને કારણે અને નવી ટ્રોલીમાં સર્જાયેલી તાંત્રિકી ખરાબીને કારણે છેલ્લાં 10 કલાકથી વચ્ચે જ અટવાઈ પડ્યા હતા આ વખતે બાપ્પાના વિસર્જન માટે એક નવી અદ્યતન રાફ્ટ બનાવવામાં આવી હતી. જેના પર બાપ્પાની મૂર્તિ ચઢાવવામાં પણ સમસ્યા આવી રહી હતી પરંતુ એ જ સમયે સમુદ્રમાં ભરતી આવતા બાપ્પાનું વિસર્જન કરી શકાયું નહોતું. કુદરતી આપદાને જોતા મંડળે બાપ્પાના વિસર્જન માટે રાહ જોવાનું નક્કી કર્યું હતું, પછે ભલે વિસર્જન મોડું કેમ ના થાય, એવું લાલબાગ સાર્વજનિક મંડળના સેક્રેટરી સુધીર સાળવીએ જણાવ્યું હતું.

લાલબાગચા રાજા કરોડો ભક્તોની શ્રદ્ધાનું સ્થાન છે અને ભરતી પહેલાં જ બાપ્પાનું રાફ્ટ પર આવવું અપેક્ષિત હતું પરંતુ એવું થઈ શક્યું નહીં અને ત્યાર બાદ વિસર્જનમાં વિઘ્ન આવી પડ્યું. અમે દર વર્ષે બરાબર નિયોજન કરીને ચાલીએ છીએ, આવું ક્યારેય થતું નથી. પરંતુ આ વખતે બાપ્પાના વિસર્જન માટે નવી રાફ્ટ તૈયાર કરાવવામાં આવી હતી એટલે વિસર્જન સારી રીતે થશે એવું અપેક્ષિત હતું, પરંતુ એવું થયું નહીં. હવે બાપ્પાની મૂર્તિ ફરી જૂની ટ્રોલી પર ચડાવી દેવામાં આવી હતી અનેરાતે સાડાઆઠ વાગ્યે બાપ્પાની આરતી કરીને વિસર્જનની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.

તેમણે બાપ્પાના વિસર્જનમાં થયેલાં વિલંબ બાદ લોકોની માફી માંગી હતી અને આ સંકટમાંથી માર્ગ કાઢવા અને મદદ કરનાર સુધરાઈ, પ્રશાસન, કોળી બાંધવો અને ભક્તોનો આભાર પણ માન્યો હતો.

આ પણ વાંચો…લાલબાગચા રાજાના વિસર્જન બાબતે મંડળે આપ્યું મહત્ત્વનું અપડેટ, જાણો ક્યારે થશે વિસર્જન…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button