લાડકી બહિણ યોજના ઈ-કેવાયસી સુધારા 31 માર્ચ સુધી ખુલ્લા

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ના લાભાર્થીઓને 31 માર્ચ સુધી તેમની ઈ-કેવાયસી વિગતો સુધારવાની મંજૂરી આપવામાં આવશે, એમ રાજ્યના મહિલા અને બાળ વિકાસ ખાતાના પ્રધાન અદિતિ તટકરેએ શુક્રવારે જણાવ્યું હતું.
તટકરેએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સરકારને એવા લાભાર્થીઓ અંગે ફરિયાદો મળી છે જેમણે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરતી વખતે ભૂલથી ખોટા વિકલ્પો પસંદ કર્યા હતા.
આપણ વાચો: સામાજિક ન્યાય વિભાગે લાડકી બહેન યોજના માટે 410 કરોડ રૂપિયા ફાળવ્યા
તેમણે કહ્યું કે જે પાત્ર મહિલાઓએ ઈ-કેવાયસી પૂર્ણ કરી છે પરંતુ હજુ સુધી લાભ મેળવ્યો નથી તેમને ઓનલાઈન પોર્ટલ દ્વારા તેમની વિગતો સુધારવા માટે બીજી તક આપવામાં આવી રહી છે.
આ યોજના જૂન 2024માં શરૂ કરવામાં આવી હતી. આ મુખ્ય યોજના હેઠળ 21 થી 65 વર્ષની વયની પાત્ર મહિલાઓને ડીબીટી દ્વારા માસિક રૂ. 1,500 ભથ્થું મળે છે.
તટકરેએ જણાવ્યું હતું કે તેમના વિભાગનો ઉદ્દેશ એ સુનિશ્ર્ચિત કરવાનો છે કે બધી પાત્ર મહિલાઓને યોજના હેઠળ લાભ મળે અને જેમણે ઈ-કેવાયસી પ્રક્રિયામાં ભૂલો કરી છે તેમને 31 માર્ચ સુધીમાં તેમની વિગતો સુધારવા અપીલ કરી હતી.



