કૃષિ લોનમાફી યોગ્ય સમયે કરવામાં આવશે મુખ્ય પ્રધાનનું વારકરીઓને વચનયોગ સુખી જીવનની ચાવી છે: ફડણવીસ
શિંદેએ બાળકોમાં આચરણ કેળવવા હાકલ કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કહ્યું હતું કે યોગ એ ભારતની સંસ્કૃતિ અને પરંપરા છે અને તે શરીર અને આત્માને પુનજીર્વિત કરીને જીવન સુખી કરવાની ચાવી ધરાવે છે.
પુણેમાં ‘વારકરી ભક્તિ યોગ’ કાર્યક્રમમાં બોલતા ફડણવીસે કહ્યું હતું કે વિશ્ર્વે સુખાકારી અને ઉપચાર શક્તિ માટે જાણીતી પ્રાચીન પ્રથાને સ્વીકારી છે. પીએમ મોદીએ યુએનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને હવે તે 11મું વર્ષ છે.
તેમણે કહ્યું હતું કે ‘વારકરી’ અથવા ભગવાન વિઠ્ઠલના ભક્તો, જેઓ સંત તુકારામ મહારાજ અને સંત જ્ઞાનેશ્વર મહારાજની વાર્ષિક ‘પાલખી’ શોભાયાત્રા સાથે પુણે પહોંચ્યા હતા, તેઓ તેમના શિબિરોમાં યોગ કરી રહ્યા હતા.
તેમણે કહ્યું કે આ પ્રસંગને ઉજવવા માટે 700 વિદ્યાર્થીઓએ પણ તેમની સંસ્થાઓમાં આ પ્રથામાં ભાગ લીધો હતો.
ફડણવીસે વધુમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર યોગ્ય સમયે કૃષિ લોન માફી લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેના વચનથી પાછળ હટશે નહીં.
‘મેં આ વિશે વિગતવાર વાત કરી છે. કૃષિ લોન માફીની વાત આવે ત્યારે નિયમો અને પ્રક્રિયાઓ હોય છે. આ સરકાર એક પણ વચનથી પીછેહઠ કરશે નહીં અને યોગ્ય સમયે કૃષિ લોન માફીના નિર્ણયનો અમલ કરશે,’ એમ તેમણે કહ્યું હતું.
મુંબઈમાં એક કાર્યક્રમમાં ભાગ લેનારા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે બાળકો અને યુવાનોને વ્યસનોથી દૂર રહેવા અને તણાવમુક્ત જીવન જીવવા માટે યોગની પ્રેક્ટિસ કરાવવી જોઈએ.
મરીન ડ્રાઇવ ખાતે ‘યોગ બાય ધ બે’ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ પત્રકારો સાથે વાત કરતા શિંદેએ કહ્યું હતું કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ છે, એમ પણ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે યુવા પેઢીમાં બાળપણથી જ યોગનું શિક્ષણ આપવું જોઈએ જેથી તેઓ પ્રાચીન પ્રથા સિવાય અન્ય કોઈ વસ્તુના વ્યસની ન બને.
‘તેઓ (યુવાનો)એ યોગનું વ્યસન કરવું જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું. શિંદેએ વધુમાં નોંધ્યું કે ત્રણ વર્ષ પહેલાં આ દિવસે તેમણે તત્કાલીન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો અને રાજ્યમાં મહા વિકાસ આઘાડી સરકારને ગબડાવી દીધી હતી.
‘મેં તે દિવસે પણ યોગનો અભ્યાસ કર્યો હતો. તે દિવસે અમે લાવેલા ‘પરિવર્તન’ને કારણે, આપણે પીએમ મોદી અને અમિત શાહની મદદથી રાજ્યના વિકાસને ઝડપી બનતો જોઈ શકીએ છીએ. યોગ તમારા જીવનનો ભાગ હોવો જોઈએ જેથી તેને તણાવમુક્ત બનાવી શકાય અને તેને ફક્ત આ દિવસ પૂરતો મર્યાદિત ન રાખો,’ એમ તેમણે કહ્યું હતું.