કોહલી-અનુષ્કા મુંબઈની સફરે, ગેટવે ઑફ ઇન્ડિયા પર પહોંચ્યા બાદ…

મુંબઈઃ ઑસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ ખરાબ ફૉર્મ સાથે નિરાશાજનક સિરીઝ પૂરી કરી ત્યાર પછી ભારત પાછો આવી ગયો હતો, પણ એ પહેલાં અમુક શ્રેણીઓ બાદ કોહલી સીધો લંડન તેના પરિવાર પાસે પહોંચી જતો હતો. જોકે આ વખતે તે ભારત પાછા આવીને ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કા તેમ જ સંતાનો સાથે ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં શ્રી પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશ્રમમાં પહોંચી ગયો હતો અને ત્યાંના પ્રવાસ બાદ મુંબઈ આવીને આજે ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે અલીબાગ જવા માટેની ફેરીની રાહ જોઈ રહેલો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : મોહમ્મદ શમીનો 14 મહિનાનો વનવાસ પૂરોઃ સૂર્યા કૅપ્ટન, અક્ષર વાઇસ-કૅપ્ટન…
કોહલી અને અનુષ્કા અલીબાગ જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે તેમની દીકરી વામિકા અને દીકરો અકાય નહોતા.
જોકે વિરુષ્કા તરીકે ઓળખાતી આ સેલિબ્રિટી જોડીની આ ટ્રિપ તેમના ફૅન્સમાં ચર્ચાસ્પદ જરૂર બની ગઈ. ગેટવે ઑફ ઇન્ડિયા પર તેમના અસંખ્ય ચાહકો તેમને નિહાળતા ઊભા હતા.
કોહલી ઑલ-બ્લૅક આઉટફિટમાં જોવા મળ્યો હતો. ટૉપી અને સનગ્લાસને કારણે કોહલી તેની અનોખી પૂરી સ્ટાઇલમાં જોવા મળ્યો હતો. અનુષ્કા વાઇટ ટી-શર્ટ, બ્લૅક શૉર્ટ્સ અને બ્લ્યૂ ઓવરસાઇઝડ શર્ટમાં હતી. તેણે પોતાનો લૂક ખૂબ જ કૅઝયુઅલ અને કૂલ રાખવાનું પસંદ કર્યું હતું. જોકે સનગ્લાસે તેના લૂકને સ્પેશિયલ બનાવી દીધો હતો.
કોહલી-અનુષ્કા ગયા અઠવાડિયે સિડનીથી પાછા આવ્યા બાદ ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં ગયા હતા જ્યાં તેમણે પરિવાર સાથે પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા હતા.
આ પણ વાંચો : રોહિત 134 રન બનાવશે એટલે સચિનથી આગળ અને કોહલી પછી બીજા નંબરે…
સંત પ્રેમાનંદ મહારાજે અનુષ્કાના સવાલોના જવાબ આપ્યા હતા અને તેની પ્રશંસામાં કહ્યું હતું કે `તમે વિરાટ જેવા દિગ્ગજ અને સફળ ખેલાડીને પણ આસ્થા અને વિનમ્રતાના માર્ગે જાળવી રાખવા પ્રેરણા આપી છે. ખુદ વિરાટ ખેલકૂદ દ્વારા સમગ્રના નાગરિકોના મનમાં પ્રસન્નતા લાવે છે એટલે એક રીતે એ તેમની સાધના જ કહેવાય.’