મુંબઈમાં વધુ એક મેટ્રો ટ્રેન દોડાવવા માટે પ્રશાસન સજ્જઃ દહીસર-ભાયંદરવાસીઓને થશે રાહત

મુંબઈઃ મુંબઈમાં મેટ્રોનું નેટવર્ક ધીમે ધીમે વિસ્તરતું જાય છે. અમુક મેટ્રો રૂટ પર નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તો અમુક રૂટ પૂર્ણ થવાની તૈયારીમાં છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ આ મહિને મુંબઈમાં વધુ એક મેટ્રો લાઇન પર ટ્રાયલ રન શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેટ્રો-9 કોરિડોરના 4.973 કિમીના રૂટ પર ટ્રાયલ રન શરૂ કરવા માટે દસમીથી વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે.
13.5 કિલોમીટરના કોરિડોરમાં મેટ્રો-નવનું નિર્માણ થશે
જોકે, પ્રસ્તાવિત કોરિડોરમાં 4.973 કિમી લાંબા રૂટ પર વીજ પુરવઠો શરૂ કર્યા પછી અને જરૂરી નિરીક્ષણો કર્યા પછી મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં મેટ્રોનો ટ્રાયલ રન શરૂ થઈ શકે છે. જાહેર જનતા માટે આ રૂટમાં મેટ્રો વર્ષના અંત સુધીમાં દોડાવી શકાય છે. દહિસર (પૂર્વ) અને મીરા ભાયંદર વચ્ચેના 13.5 કિમી લાંબા રૂટ પર મેટ્રો 9નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સમગ્ર રૂટનું સિવિલ વર્ક પૂર્ણ ન થયું હોવાના કારણે MMRDAએ 13.5 કિમીના રૂટ પર એકસાથે સેવા શરૂ કરવાને બદલે તેને બે તબક્કામાં શરૂ કરવાની યોજના બનાવી છે. મેટ્રો-9 કોરિડોરના સમગ્ર રૂટનું સિવિલ વર્ક 95 ટકા પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં, દહિસર (પૂર્વ) અને કાશીગાંવ મેટ્રો સ્ટેશન વચ્ચે મેટ્રો સેવા શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. મેટ્રોના 4.973 કિમીના પહેલા તબક્કામાં ચાર સ્ટેશન છે.
આ પણ વાંચો પાલિકા ચૂંટણીઓ: સુપ્રીમકોર્ટનું મહિનાનું અલ્ટિમેટમ
આ રીતે ઉપયોગી થશે?
મેટ્રો 9 કોરિડોર દહિસર (પૂર્વ) થી અંધેરી (પૂર્વ) સુધીના મેટ્રો 7 કોરિડોર અને દહિસર (પૂર્વ) થી અંધેરી (પશ્ચિમ) સુધીના મેટ્રો 2A કોરિડોર સાથે જોડાયેલ છે. મેટ્રો-9 ના સમગ્ર રૂટના ખુલ્યા પછી, મુસાફરો મીરા ભાઈંદરથી અંધેરી સુધી મેટ્રોમાં મુસાફરી કરી શકશે. મેટ્રો-9 નો કારશેડ હજુ તૈયાર થયો નથી. આ કારણે MMRDA એ ચારકોપ ડેપોથી મેટ્રો-9 રેકની જાળવણી કરશે. હાલમાં, મેટ્રો-7 અને મેટ્રો-2A કોરિડોરના રેક્સની ચારકોપ ડેપોમાં જાણવણી કરવામાં આવે છે.
મેટ્રો-9 કોરિડોરનું બાંધકામ 2019થી ચાલી રહ્યું છે. ઓક્ટોબર 2024 સુધીમાં સમગ્ર રૂટ પર સેવા શરૂ થવાની હતી. પરંતુ નિર્માણ કાર્યમાં વિલંબ અને અન્ય કારણોસર મેટ્રો સેવા હજુ સુધી શરૂ થઈ નથી. તેથી, નિર્માણ કાર્યને કારણે, સ્થાનિક નાગરિકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.
નાગરિકોને રાહત આપવા માટે MMRDA હવે સમગ્ર રૂટને બદલે, જ્યાં કામ પૂર્ણ થઈ ગયું છે ત્યાં સેવા શરૂ કરવાની યોજના બનાવી છે. તેવી જ રીતે, આ વર્ષે મેટ્રો-2B અને મેટ્રો 4ના કેટલાક ભાગોમાં પણ મેટ્રો ચલાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.