મુંબઈ એરપોર્ટના ટર્મિનલ એક નજીકના ફલાયઓવર બ્રિજનું મુખ્ય પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/03/279d20af-c3a5-4f02-bd9f-510bd714d660.jpg)
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બે પરથી બાન્દ્રા જવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ટર્મિનલ એક નજીક ફલાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજનું કામ પૂર્ણ થતાં નવ માર્ચે રાતે આઠ વાગ્યે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે આ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન થયા બાદ આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ એરપોર્ટના ટર્મિનલ બે પર નિર્માણ કરવામાં આવેલા બ્રિજને લીધે એરપોર્ટથી બાન્દ્રા જવું વધુ ઝડપી બનશે. તેમ જ પુલને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ વે પરની ટ્રાફિકની સમસ્યા પણ આંશિક રીતે ઓછી થશે. મુંબઈ એરપોર્ટના પરિસરમાં મોટા પ્રમાણમાં વાહનો આવતા ટ્રાફિકની સમસ્યા નિર્માણ થાય છે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બે પરથી બાન્દ્રા જનારા વાહનોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે અને વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર પણ ટ્રાફિક નિર્માણ થાય છે. આ વિસ્તારમાં ટ્રાફિક સર્જાતા બાન્દ્રા અને અંધેરી જનારા વાહનોને મુશ્કેલી આવે છે. આ વાતને ધ્યાનમાં રાખીને ટર્મિનલ બેથી બાન્દ્રા સુધીના પ્રવાસને વધુ સરળ બનાવવા એમએમઆરડીએ દ્વારા ટર્મિનલ એક નજીક, વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર 750 મીટર લાંબા અને આઠ મીટર પહોળા એક પુલનું નિર્માણ કરવામાં આવું છે. આ બ્રિજને 48.43 કરોડના ખર્ચે નિર્માણ કરીને શનિવારે મુખ્ય પ્રધાન શિંદેએ તેનું ઉદ્ઘાટન કરી પુલનું લોકાર્પણ કર્યું હતું.