ઘાટકોપરથી અંધેરી વચ્ચે આ નંબરની બસમાં પ્રવાસ કરનારા માટે મહત્વના સમાચાર

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ઘાટકોપર (પશ્ર્ચિમ)માં અનેક રસ્તાઓના કામ હાથ ધરવામાં આવ્યા છે, તેને કારણે બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની અનેક બસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
બેસ્ટના જણાવ્યા મુજબ ઘાટકોપર (પશ્ર્ચિમ)માં અંધેરી-ઘાટકોપર લિંક રોડ અને જંગલેશ્ર્વર મહાદેવ મંદિર રોડને જોડનારા ચાંદીવલી પુલને પહોળો કરવાનું અને પુર્ન બાંધકામનું કામ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તેથી ૨૦ ડિસેમ્બર, ૨૦૨૩થી ૪૧૯, ૪૨૧ અને ૪૨૭ નંબરની બસ અપ દિશામાં ખૈરાણી રોડ માર્ગે નહીં જતા અંધેરી-ઘાટકોપર લિંક રોડ અને બાજી પાસલકર માર્ગે જશે.
પ્રવાસીઓની સુવિધા માટે જાંભૂળપાડા, અસલ્ફા વિલેજ, મોહિની વિલેજ, ટિળક નગર, મહારાષ્ટ્ર કાટા, સાકીનાકા બસ સ્ટોપ પર પર્યાયી બસના થાંભલા આપવામાં આવ્યા છે. લગભગ ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી આ મુજબ જ બસ દોડશે. જોકે ૪૧૯, ૪૨૧ અને ૪૨૭ બસના ડાઉન દિશાના રૂટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.