આમચી મુંબઈ

રંગમંચના સુખ્યાત નાટ્યકર્મી કૌસ્તુભ ત્રિવેદીને ભાવભીની શ્રદ્ધાંજલિ…

નિલેશ વાઘેલા
મુંબઇ
: નાટ્ય જગતના લોકપ્રિય દિગ્ગજ નિર્માતા અને કસબી કૌસ્તુભભાઇ ત્રિવેદીને તેમના આપ્તજનો તેમ જ સાથી કલાકારોએ શુક્રવારે મલાડ ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે આયોજિત પ્રાર્થનાસભામાં સરિતા જોશી, અપરા મેહતા, તુષાર કાપડિયા, ફાલ્ગુની પાઠક અને શિલ્પા ગણાત્રા સહિતના પીઢ રંગકર્મીઓ ઉપરાંત અનેક લોકોએ હાજરી આપી હતી.

જય રાધા માધવ, જય કુંજ બિહારી ભજનથી પ્રાર્થનાસભાની શરૂઆત થઈ હતી અને સમયના પ્રવાહ સાથે અંગત કુટુંબીજનો અને વ્યવસાયિક તથા મિત્ર વર્તુળના સ્નેહીઓ પ્રવેશતા રહ્યા હતા અને આદરાંજલિ અર્પિત કરતા રહ્યા હતા.

નાટ્ય જગતના પીઢ અને વંદનીય અભિનેત્રી સરિતા જોશીએ જણાવ્યું હતું કે કૌસ્તુભભાઈ નખશિખ પ્રોફેશનલ હતા અને વ્યવસાયિક એટલે ફાઇનાન્સથી માંડીને માર્કેટિંગ સુધીની દરેક બાબતો પર સંપૂર્ણ અંકુશ ધરાવતા હતા. મેં એમની સાથે ત્રણ નાટક કર્યાં છે, તેઓ એક વ્યક્તિ તરીકે પણ ખૂબ જ ઉમદા હતા અને કર્મનિષ્ઠ હતા.

ગુજરાતી તખ્તાનાં સુપ્રસિદ્ધ અભિનેત્રી અપરા મેહતાએ જણાવ્યું હતું કે કૌસ્તુભભાઇ માટે સંક્ષિપ્તમાં કહેવું મુશ્કેલ છે. એમની સાથે અમારા સાસુથી માંડીને દીકરી સુધી બધાએ કામ કર્યું છે. તેઓ નાટ્યકર્મી હોવા સાથે સાહિત્યના પણ ખૂબ સારા જાણકાર હતા. એમના અવસાનથી ગુજરાતી તખ્તા માટે ખૂબ મોટું કદી ના પુરાય એવું નુકસાન થયું છે. એમના જવાથી એક આખું જનરેશન, એક પેઢીનો યુગ આથમી ગયો હોય એવું લાગે છે.

જાણીતા નાટ્ય અભિનેતા અને નિર્માતા અરવિંદ વેકરિયાએ જણાવ્યું હતું કે કૌસ્તુભભાઇ સાથે મેં ઘણું કામ કર્યું છે. તેમણે પોતે આગળ વધવા સાથે અન્ય ઘણા રંગકર્મીઓને આગળ વધવામાં સહાય કરી છે. તેમનો સ્વભાવ લોકો સાથે મળીને લોકોને આગળ આવવામાં મદદ કરવાનો હતો.

બસોથી વધુ નાટકોમાં કામ કરી ચૂકેલા જાણીતા અભિનેતા તુષાર કાપડિયા એમને યાદ કરતા કહે છે કે તેઓ ખૂબ મોજીલા જીવ અને સાહિત્ય પ્રેમી હતા. સાહિત્ય સાથે ખાવાના પણ શોખીન હતા. તેઓ ખુદ પણ મોજ કરતા અને સાથીઓને પણ કરાવતા. અત્યારે ભલે તેઓ હયાત નથી, પરંતુ થિયેેટર છે ત્યાં સુધી તેઓ હંમેશા હયાત રહેશે.

નોંધવું રહ્યું કે કૌસ્તુભભાઇ ત્રિવેદીએ 40 વર્ષની કારકિર્દીમાં 200થી વધુ નાટકો અને ચાર ગુજરાતી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. તેમના બંને કાકા અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી સુવિખ્યાત કલાકાર હતા. તેમણે પરેશ રાવલ, સિદ્ધાર્થ રાંદેરિયા, ટીકુ તલસાણિયા, સંજય ગોરડિયા, કાંતિ મડિયા સહિત દરેક ખ્યાતનામ કલાકાર અને દિગ્દર્શક સાથે કામ કર્યું હતું.

દરમિયાન નાટ્યજગત સાથે સંકળાયેલા વર્ગ માટે અંધેરીમાં ભવન્સ ખાતે ત્રીજી જૂને સાંજે સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button