જીએસટીનો લાભ ગ્રાહકો સુધી પહોંચવો જરૂરી: સીબીઆઈસી ચાંપતી નજર રાખશે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ : ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) દરમાં ૨૨ સપ્ટેમ્બરથી થનારા ફેરબદલ બાદ સામાન્ય વપરાશની ચીજવસ્તુઓની કિંમતો પર નજર રાખવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે (સીબીઆઈસી) તેના ફિલ્ડ ઓફિસરોને સૂચના આપી છે.
જીએસટીના દરમાં કરાયેલા ઘટાડાનો ગ્રાહકોને લાભ મળી રહે છે કે કેમ તેની ખાતરી રાખવા અંદાજે ૫૪ જેટલી ઉપભોગની ચીજવસ્તુઓ જેમ કે સાબુ, ટૂથપેસ્ટ, ટીવી, ચશ્મા, એસી, ચીઝ, બટર વગેરેની કિંમતો પર છ મહિના સુધી નજર રાખવા સૂચના અપાઈ હોવાનું સીબીઆઈસીના સુત્રોએ જણાવ્યું હતું.
આપણ વાંચો: મેલ મેટર્સઃ સિગારેટ પર જીએસટી: હવે પસંદગી તમારી છે… સ્વાસ્થ્ય કે આર્થિક નુક્સાન?
૫૪ ચીજવસ્તુઓ જેના પર નજર નાખવાની રહેશે તેની ખાસ યાદી જાહેર કરવામાં આવી છે અને ફિલ્ડ ઓફિસરોને આ ચીજવસ્તુઓના ૨૨ સપ્ટેમ્બર પહેલાના ભાવ અને ત્યારપછીના ભાવની સરખામણી કરી લેવા ખાસ સૂચના આપવામાં આવી છે.
જીએસટી કાઉન્સિલે ૪૦૦ જેટલા માલસામાન તથા સેવા પરના જીએસટી દરમાં ફેરબદલ કર્યા છે જેમાંથી ૩૭૫ના દરમાં ઘટાડો કરાયો છે. ૧૩ જેટલી લકઝરી ચીજવસ્તુઓને ૪૦ ટકાના સ્તરમાં આવરી લેવાઈ છે.
સરકારે જાહેર કર્યા છે તે પ્રમાણે ભાવમાં ઘટાડો કરવામાં આવે તેની ઉદ્યોગો તથા ટ્રેડરોને સૂચના આપવામાં આવી છે. ઉત્પાદકો, પેકરો તથા આયાતકારોએ જીએસટીના નવા દર જાહેર કરાયા તે પહેલા ઉત્પાદિત થયેલા અથવા આયાત થયેલા પ્રોડકટસના નહીં વેચાયેલા સ્ટોકસ પર સુધારિત છૂટક ભાવ (એમઆરપી) જાહેર કરવાની રહેશે.