આમચી મુંબઈ

નાંદેડ સિવાયના તમામ મરાઠવાડા જિલ્લાઓમાં ભૂગર્ભજળનું સ્તર ઘટ્યું

છત્રપતિ સંભાજીનગર: રાજ્ય માટે માઠા સમાચાર છે કે, મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રમાં સરેરાશ ભૂગર્ભજળનું સ્તર 1.01 મીટર જેટલું ઘટી ગયું છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં ચોમાસા પછી ભૂગર્ભજળની સરેરાશ ઊંડાઈ 4.03 મીટર હતી, જ્યારે 2023ના ચોમાસા પછી તે 5.04 મીટર માપવામાં આવી હતી, એમ અધિકારીએ ધ્યાન દોર્યું હતું. વધુમાં મરાઠવાડાના 76માંથી 61 તાલુકાઓમાં જૂન અને સપ્ટેમ્બર 2023 વચ્ચે વરસાદની ખાધનો સામનો કરવો પડ્યો છે, જેમાં 30 થી 50 ટકાની ખાધ ધરાવતા 19 તાલુકાનો સમાવેશ થાય છે. ભૂગર્ભ જળ સર્વેક્ષણ
વિભાગના અહેવાલ મુજબ, જાલનામાં સરેરાશ ભૂગર્ભજળનું સ્તર 3.99 મીટરથી ઘટીને 6.68 મીટર થઈ ગયું છે, એટલે કે 2.69 મીટરનો ઘટાડો થયો છે. આ રિપોર્ટ મરાઠવાડાના આઠ જિલ્લાઓમાં 875 કૂવાઓના સર્વેક્ષણના આધારે બનાવવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

“છત્રપતિ સંભાજીનગર અને ધારાશિવ જિલ્લામાં ભૂગર્ભજળનું સ્તર 1.73 મીટર નીચે ગયું છે. છત્રપતિ સંભાજીનગરમાં અગાઉના 5.15 મીટરની સામે 6.88 મીટરની ઊંડાઈ છે. ધારાશિવમાં તે 3.85 મીટરથી 5.58 મીટર નીચી ગઈ છે.” અધિકારીએ અહેવાલને ટાંકીને જણાવ્યું હતું. અહેવાલ પ્રમાણે નાંદેડમાં ભૂગર્ભજળનું સ્તર 1.12 મીટર વધી ગયું છે.(પીટીઆઈ)

જિલ્લાઓ અને ભૂગર્ભજળનું ઘટતું સ્તર:
છત્રપતિ સંભાજીનગર- 1.73 મીટર
જાલના- 2.69 મીટર
પરભણી- 0.40 મીટર
હિંગોલી- 0.86 મીટર
લાતુર- 1.20 મીટર
ધારાશિવ- 1.73 મીટર
બીડ- 1.38 મીટર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button