ગોરેગામમાં બહુમજલી ઈમારતમાં ભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ ઉપનગરના ગોરેગામ પરિસરમાં શુક્રવારે વહેલી સવારના ૪૫ માળની બહુમજલી બિલ્િંડગના નવમા માળા પર આવેલા એક ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કારણે મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાઈ જતા અનેક રહેવાસી ફસાઈ ગયા હતા પણ ફાયરબિગ્રેડે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢયા હતા.
પશ્ર્ચિમ ઉપનગરના વિલેપાર્લેમાં સોમવારે હાઈરાઈઝ બિલ્િંડગમાં લાગેલી આગમાં ક્ચ્છી મહિલાએ ભોગ લીધો હોવાનો બનાવ હજી તાજો છે ત્યાં શુક્રવારે વહેલી સવારના ગોરેગામમાં ગોકુળ ધામમાં ૪૫ માળની બિલ્િંડગમાં આગ લાગી હોવાનો બનાવ બન્યો હતો.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ગોરેગામ પૂર્વમાં ગોકુલ ધામમાં કૃષ્ણા વાટિકા રોડ પર ગ્રાઉન્ડ પ્લસ ૪૫ માળની ડીબી વુડ નામની બિલ્ડિંગ આવેલી છે. શુક્રવારે સવારના નવ વાગ્યાની આસપાસ બિલ્િંડગના નવમા માળા પર આવેલા એક ફ્લેટના બેડરૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, રસોડા સહિત સમગ્ર ઘરમાં ફેલાઈ ગઈ હતી.
આગની જાણ થતા જ ઘરના પરિવારના સભ્યો સહિત આજુબાજુના લોકો અને અન્ય માળના લોકો તરત બિલ્ડિંગના રેફ્યુજી એરિયા અને ટેરેસમાં આવી ગયા હતા. ઘટના સ્થળે ફાયરબ્રિગેડના ચાફ ફાયર એન્જિન, ચાર જેટી, એડવાન્સ વોટર ટેન્કર, એક ટેબલ ટર્ન લેડર, એક ક્વિર રિસ્પોન્સ વેહિકલ સહિતના સાધનો સાથે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને રેફ્યુજી એરિયામા રહેલા તમામ રહેવાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સદ્નસીબે બિલ્િંડગની ફાયર ફાઈટિંગ સિસ્ટમ કામ કરતી હોવાથી તેની મદદથી આગ ઝડપથી બુઝાવવામાં સફળતા મળી હતી. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું.
લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.



