Good News: બોરીવલી-થાણે ટ્વિન ટનલ પ્રોજેક્ટે પકડી ‘બુલેટ’ ગતિ
યોજના માટે જરૂરી ૩૫ હેક્ટર જમીન એમએમઆરડીએને સોંપાઇ

મુંબઈઃ ઘોડબંદર ખાતે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે બહુ જરૂરી એવી થાણે-બોરીવલી ટ્વિન ટનલ બનાવવા ૩૫ હેક્ટરની વન ખાતાની જમીન એમએમઆરડીએને સોંપવામાં આવી છે. થાણે દિશાના પાંચ જ્યારે બોરીવલી દિશાના એક ગામનો આ જમીનમાં સમાવેશ થાય છે.
આ પ્રકલ્પમાં થાણે-બોરીવલી તથા બોરીવલી-થાણે એમ બે ટનલનો સમાવેશ થશે. ટનલમાં બે લાઇન હશે અને એક લાઇન આપાતકાલની સ્થિતિ માટે ઉપલબ્ધ હશે. કુલ ૧૧.૮ કિલોમીટરનો રસ્તો તેમાં બાંધવામાં આવશે જેમાં ૩૦૦ મીટરના અંતરે ક્રોસ પેસેજ દ્વારા ટનલને એકબીજા સાથે જોડાવામાં આવશે.
દોઢ કલાકનું અંતર ઘટીને 12 મિનિટ થશે
આ બંન્ને ટનલમાં જમીનથી સુરક્ષિત અંતર ૧૩.૫ મીટરનો હશે. નેશનલ પાર્કની ૧૦ કિલોમીટરની જમીનમાં પચીસ મીટર ડુંગર નીચેથી પસાર થશે. આ ટનલને કારણે થાણેથી બોરીવલી વચ્ચેનું અંતર દોઢ કલાકથી ઘટીને ૧૨ મિનિટ પર આવી જશે. આ માર્ગ પર રોજના એક લાખ પ્રવાસીની અવરજવર રહેવાની શક્યતા છે.
પ્રકલ્પનો કુલ ખર્ચ છે રુપિયા 16,600 કરોડ
આ ટનલને કારણે દોઢ લાખ ટન કાર્બન ઉત્સર્જન ઓછું થવાનું છે. પ્રકલ્પનો કુલ ખર્ચ ૧૬,૬૦૦.૪૦ કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો છે. પહેલાથી વિલંબને કારણે ખર્ચમાં ૨,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ ટ્વિન ટનલ માટે ૩૫.૫૬૪૪ હેક્ટરની વન ખાતાની જમીન એમએમઆરડીએને સોંપવામાં આવી છે જેમાંથી ૧૯.૭૮૭૩ હેક્ટર જમીન જે થાણે દિશાના માનપાડા, માજિવડા, બોરીવડે, યેઉર તથા ચેને ગામની હશે.
Also Read – પ્રદૂષણથી છુટકારા માટે BMC હાથ ધરશે આ કામગીરી, જાણો શું છે પ્લાન?
બોરીવલી દિશા તરફ માગાઠાણેની ૧૫.૭૭૭૧ હેક્ટરની જમીન એમએમઆરડીએને સોંપવામાં આવી છે.
વન્યજીવોના અસ્તિત્વને લઈને ઈકો સેન્સેટિવ ઝોન
આ વિસ્તારમાં વન્યજીવોનું અસ્તિત્વ હોવાથી પર્યાવરણની દૃષ્ટિએ આ વિસ્તાર ઇકો સેન્સેટિવ છે.
આ સંવેદનશીલ વિસ્તારની ૨૬,૮૧૦ ચોરસ મીટરની જમીન પણ ટનલ માટે આપવામાં આવી છે. આ જમીન પર નિયમો અને શરતોને આધીન રહીને બાંધકામ કરવાનું રહેશે, એમ વન વિભાગ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે.