Ghodbunder Road પર પ્રવાસ કરનારાઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, આગામી બે દિવસમાં…
![Important news for those traveling on Ghodbunder Road, in the next two days...](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/harrowing-commuting-ghodbunder-thursday-commuters-january-gangurde_9afc8966-0f88-11e9-b03e-d829a175bb22-780x470.webp)
થાણેઃ વાહનવ્યવહારની દ્રષ્ટિએ મહત્ત્વના ગણાતા ઘોડબંદર રોડ પર આવેલા પાટલીપાડા અને માનપાડા એમ બે ફ્લાયઓવરનું સમારકામ આગામી બે દિવસમાં હાથ ધરવામાં આવશે અને આ કામ રાતના સમયે તબક્કાવાર કરવામાં આવશે. ચોમાસું માથે છે ત્યારે આ કામ હાથ ધરાવવાનું હોઈ ઘોડબંદર રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાવવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. નાગરિકો દ્વારા ચોમાસાને બાદ કરતાં ઉનાળા કે શિયાળામાં આ કામ કરવાનું પાલિકાને કેમ નથી સૂઝવું એવો સવાલ પણ ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે.
ઘોડબંદર ખાતે છેલ્લાં કેટલાક સમયથી લોકવસતી વધી રહી છે. કાસારવડવલી સુધી સીમિત ઊંચી ઊંચી ઈમારતોનો પગપેસારો હવે ગાયમુખ ચોપાટી સુધી જોવા મળી રહ્યો છે. ઘોડબંદર રોડ ઉરણ પર જેએનપીટી બંદર અને ગુજરાત જનારા ભારે વાહનોની અવરજવરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : પ્રતિબંધ હોવા છતાં ઘોડબંદર રોડ પર ભારે વાહનોની અવરજવરઃ વાહનચાલકોને હેરાનગતિ
ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા માટે આ રૂટ પર માનપાડા, પાટલીપાટા અને વાઘબીડ ખાતે ત્રણ ફ્લાયઓવર બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત મેટ્રના કામ, રસ્તાની ખરાબ અવસ્થા, સર્વિસ રોડ પર કરવામાં આવેલા ખોદકામને કારણે ઘોડબંદર રોડ પર વાહનોની અવરજવબ વધી હોવાને કારણે નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે અને એક્સિડન્ટના પ્રમાણમાં પણ વધારો જોવા મળ્યો છે.
થોડાક દિવસ પહેલાં જ ગાયમુખ ચોપાટી રસ્તાનું સમારકામ સાર્વજનિક બાંધકામ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું હોવાને કારણે કાસારવડવલી સુધી ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી. આને કારણે બોરીવલી, મીરા ભાયંદર અને વસઈની દિશામાં પ્રવાસ કરનારા વાહનચાલકો પણ પરેશાન થઈ ગયા છે. 20 મિનિટના પ્રવાસ માટે વાહનચાલકોને બેથી અઢી કલાકનો સમય લાગી રહ્યો છે. આ કામ પૂરું થયા બાદ હવે સાર્વજનિક વિભાગ દ્વારા પાટલીપાડા અને માનપાડા ફ્લાયઓવરનું કામ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આગામી બે દિવસમાં આ કામની શરૂઆત થવાની હોઈ ટ્રાફિક પોલીસ દ્વારા પણ આ કામ માટે લીલી ઝંડી આપવામાં આવી છે. બે અઠવાડિયા સુધી આ કામ ચાલશે. પાટલીપાડા ફ્લાયઓવરનું કામ પૂરું થયા બાદ માનપાડા ફ્લાયઓવરનું કામ હાથ ધરવામાં આવશે, એવા માહિતી સાર્વજનિક બાંધકામ વિભાગના એન્જિનિયર દ્વારા આપવામાં આવી છે.