25 મતવિસ્તારોના મતદાર યાદીના રાહુલ ગાંધીના દાવા પર ફડણવીસના પ્રહાર | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

25 મતવિસ્તારોના મતદાર યાદીના રાહુલ ગાંધીના દાવા પર ફડણવીસના પ્રહાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાજ્યમાં મતદાર યાદીમાં છેડછાડ અંગેના તેમના આરોપો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરતાં તેમને ‘આંધળા તીર મારવા’ પહેલા તેમના પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યો સાથે વાત કરવા કહ્યું હતું.

એક્સ પરની એક પોસ્ટમાં ફડણવીસે ગાંધીના દાવાની મજાક ઉડાવવા માટે એક હિન્દી કહેવતનો ઉપયોગ કર્યો અને મતદાર યાદીમાં રહેલી વિસંગતીઓના આરોપનો જવાબ આપવા માટે ચોક્કસ મતવિસ્તારોનો ઉલ્લેખ કર્યો હતો.

‘ઝૂઠ બોલે કૌવા કાટે, કાલે કૌવે સે દરિયો’… રાહુલ ગાંધી, હું સમજું છું કે મહારાષ્ટ્રમાં તમારી શરમજનક હારનો ડંખ દિવસેને દિવસે તીવ્ર બની રહ્યો છે. પરંતુ તમે ક્યાં સુધી આંધળા તીર મારતા રહેશો?’ એમ ફડણવીસે રાહુલ ગાંધીને એક્સ પર જ આપેલા જવાબમાં લખ્યું હતું.

મુખ્ય પ્રધાને નિર્દેશ કર્યો હતો કે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે મહારાષ્ટ્રના 25થી વધુ મતવિસ્તારોમાં મતદારોની સંખ્યામાં 8 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે, અને આમાંથી ઘણી બેઠકોમાં કોંગ્રેસ અથવા તેના સાથી પક્ષો વિજયી બન્યા છે.

‘પશ્ર્ચિમ નાગપુરમાં મારી પોતાની દક્ષિણ પશ્ચિમ બેઠકની બાજુની બેઠક પર, મતદારોની સંખ્યામાં 7 ટકા (27,065)નો વધારો થયો છે, અને કોંગ્રેસના ઉમેદવાર વિકાસ ઠાકરે જીત્યા છે. ઉત્તર નાગપુરમાં, 7 ટકાનો વધારો (29,348 મતદારો) થયો છે, અને કોંગ્રેસના નીતિન રાઉતે વિજય મેળવ્યો છે,’ એમ તેમણે કહ્યું હતું.

‘વડગાંવ શેરી (પુણે)માં, મતદારોની સંખ્યામાં 10 ટકા (50,911)નો વધારો થયો, અને એનસીપી (શરદચંદ્ર પવાર)ના બાપુ પાઠારે જીત્યા. મલાડ પશ્ર્ચિમમાં, મતદારોની સંખ્યામાં 11 ટકા (38,625)નો વધારો થયો, અને તમારા પોતાના પક્ષના અસલમ શેખ ચૂંટાયા. મુમ્બ્રામાં, 9 ટકાનો વધારો (46,041) થયો, અને એનસીપી (શરદચંદ્ર પવાર)ના જીતેન્દ્ર આવ્હાડ જીત્યા હતા,’ એમ તેમણે પોસ્ટમાં લખ્યું હતું.

રાહુલ ગાંધીની વાતચીતની શૈલી પર કટાક્ષ કરતા ફડણવીસે કહ્યું કે કોંગ્રેસ નેતાએ ટ્વિટ કરતા પહેલા તેમના લાંબા સમયના સાથીદારો અસલમ શેખ, વિકાસ ઠાકરે અથવા નીતિન રાઉત સાથે વાત કરવી જોઈતી હતી.

‘આ રીતે, તમે કોંગ્રેસ પક્ષના આંતરિક સંવાદના અભાવને આટલી શરમજનક રીતે ઉજાગર ન કર્યો હોત,’ એમ તેમણે કહ્યું હતું.

આ દરમિયાન, ભાજપના એમએલસી પ્રસાદ લાડે પણ ગાંધીના આરોપોને ફગાવી દેતાં કહ્યું હતું કે તેમના દાવા કોંગ્રેસની અંદર ‘નિરાશાનું પરિણામ’ છે.

એક્સ પરની એક પોસ્ટમાં લોકસભામાં વિપક્ષના નેતાએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તેમાં કોઈ અલગ-અલગ ખામીઓ નહોતી, પરંતુ ‘મત ચોરી’ થઈ હતી.

તેમણે એક મીડિયા રિપોર્ટ શેર કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણી અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચેના માત્ર છ મહિનામાં નાગપુર દક્ષિણ પશ્ચિમમાં 29,219 નવા મતદારો ઉમેરાયા હતા.

‘મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના મતવિસ્તારમાં, મતદાર યાદીમાં માત્ર પાંચ મહિનામાં 8 ટકાનો વધારો થયો હતો. કેટલાક બૂથ પર 20-50 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બીએલઓએ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મતદાન કર્યાની જાણ કરી હતી,’ એમ ગાંધીએ તેમની પોસ્ટમાં કહ્યું હતું, જેની શાસક ભાજપ તરફથી તીવ્ર ટીકા થઈ છે.

અહીં પત્રકારો સાથે વાત કરતા, લાડે કહ્યું, ‘આ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની હતાશાનું પ્રતિબિંબ છે. તેઓ સત્તામાં પાછા ફરવામાં અસમર્થ છે અને જો તેઓ આવે તો પણ તેઓ તેને જાળવી શકતા નથી. તેમની પાસે લોકો સુધી લઈ જવા માટે કોઈ મુદ્દો નથી.’

‘શું કોઈ ચોક્કસ વિસ્તારમાં મતદારોની સંખ્યામાં આટલો મોટો વધારો શક્ય છે? મતદાર નોંધણી અને મતદાનના આંકડા ચકાસવા જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું કે 1999માં તેમની રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ ફડણવીસ સ્વચ્છ અને ઈમાનદાર હોવાની છબી ધરાવે છે અને ઉમેર્યું કે આવા પાયાવિહોણા આરોપો પ્રસિદ્ધિ મેળવવાના પ્રયાસો હતા.

‘ગાંધી 2019માં વિરોધ પક્ષના નેતા પણ બની શક્યા નહીં. 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું. તેઓ પોતાના પક્ષને મજબૂત પણ કરી શકતા નથી. આવા આરોપો લગાવતા પહેલા તેમણે અંદર જોવું જોઈએ,’ એમ લાડે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ભાજપ એક કેડર-આધારિત પાર્ટી છે અને દરેક બૂથ-સ્તરના અધિકારીને વધુ મતદારોની નોંધણી કરાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.

‘જો લોકો ફડણવીસના કાર્યથી પ્રભાવિત થાય છે અને મતદાન કરવાનું નક્કી કરે છે, તો સમસ્યા ક્યાં છે? વધુમાં, ગાંધીના આંકડા વિરોધાભાસી છે – એક સમયે, તેઓ મતદારોની સંખ્યામાં 50 ટકાનો વધારો થવાનો દાવો કરે છે અને પછી 25 ટકાનો વધારો થવાનો ઉલ્લેખ કરે છે. તેમણે પોતાના નિવેદનો સ્પષ્ટ કરવા જોઈએ,’એમ ભાજપના નેતાએ કહ્યું હતું.

લાડે કહ્યું કે કોંગ્રેસના નેતાના દાદી, ઇન્દિરા ગાંધીએ લોકશાહીને દબાવી દીધી હતી અને આવા આરોપો લગાવીને, તેઓ લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર સામે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આપણ વાંચો જ્યારે રાહુલ ગાંધીએ મતદારોની સંખ્યામાં વધારા અંગે ઘેર્યા, ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘ઘણી જગ્યાએ કોંગ્રેસ…’

તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના નેતાએ દરેક ચૂંટણી પહેલાં સમાન યુક્તિઓનો આશરો લીધો હતો. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં તેમણે લોકશાહી જોખમમાં હોવાનો દાવો કરીને ડો. બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ એક પેટર્ન છે. ગાંધીની હતાશા ચરમસીમાએ પહોંચી ગઈ છે.

તેમણે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ નાના પટોલે, બાળાસાહેબ થોરાટ અને વિજય વડેટ્ટીવાર રાહુલ ગાંધીને ખોટી માહિતી આપીને સંબંધિત રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

‘જો રાષ્ટ્રીય નેતા આવા અપ્રમાણિત દાવાઓ સાથે જાહેરમાં જાય છે, તો તે હાસ્યાસ્પદ છે. આ લોકોને કદાચ માનસિક સારવારની જરૂર છે,’ એમ તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button