ખેડૂતોના પ્રશ્ર્નો આંદોલનો દ્વારા નહીં, વાતચીત દ્વારા ઉકેલો: ફડણવીસની ભૂતપૂર્વ પ્રધાન બચ્ચુ કડુને સલાહ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સત્તાધારી મહાયુતિના ઘટકપક્ષ અને અગાઉની મહાયુતિની સરકારમાં પ્રધાન રહી ચુકેલા બચ્ચુ કડુએ પોતાની જ સરકાર સામે ખેડૂતોના વિવિધ મુદ્દાને આગળ ધરીને આંદોલન કર્યું તેને પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે સાથી પક્ષના નેતાને એવી સલાહ આપી હતી કે ખેડૂતોના પ્રશ્ર્નોને આંદોલનો દ્વારા નહીં, વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ.
બુધવારે પ્રહાર જનશક્તિ પાર્ટી (પીજેપી)ના નેતા બચ્ચુ કડુને ખેડૂતોના પ્રશ્ર્નો અંગે સરકાર સાથે ચર્ચા કરવાની અપીલ કરતાં મુખ્ય પ્રધાને જનતાને અસુવિધા થાય તેવા અને ‘સ્વાર્થી હિતો’ દ્વારા દુરુપયોગ થઈ શકે તેવા આંદોલનોથી દૂર રહેવા જણાવ્યું હતું.
આપણ વાચો: દેવેન્દ્ર ફડણવીસે કેમ કહ્યું કે ભારતના Gen-Z નેપાળ જેવું નહીં કરે
ભૂતપૂર્વ પ્રધાન બચ્ચુ કડુએ નાગપુરમાં ટ્રેક્ટર રેલીનું નેતૃત્વ કર્યું હતું, જેમાં ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફી અને અન્ય અનેક માગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, બુધવારે ફડણવીસ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.
બચ્ચુ કડુના નેતૃત્વમાં હજારો ખેડૂતો અને પીજેપીના કાર્યકરોનો સમાવેશ કરતી ટ્રેક્ટર રેલી સોમવારે અમરાવતી જિલ્લાના ચાંદુરબજારથી શરૂ થઈ હતી અને મંગળવારે સાંજે નાગપુર પહોંચતા પહેલાં વર્ધામાં રોકાઈ હતી.
બુધવારે બચ્ચુ કડુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર તેમની માગણીઓ પર નિર્ણય ન લે ત્યાં સુધી આંદોલન બંધ થશે નહીં અને જણાવ્યું હતું કે તેમને મુંબઈ બોલાવવાને બદલે મુખ્ય પ્રધાને તેમને ચર્ચા માટે નાગપુરમાં મળવું જોઈએ કેમ કે મુખ્ય પ્રધાન પોતે પણ નાગપુરના જ છે.
આપણ વાચો: દેવેન્દ્ર ફડણવીસે પોતાના સ્વ-પ્રચારમાં છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું: હર્ષવર્ધન સપકાળ
બુધવારે નાગપુર-વર્ધા રોડ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો, જ્યાં જામથા ફ્લાયઓવર પાસે આંદોલન ચાલી રહ્યું હતું. આ ઉપરાંત રેલ રોકો આંદોલન પણ કરવામાં આવ્યું હતું અને કલાકો સુધી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ફડણવીસે કહ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતોના પ્રશ્ર્નો પ્રત્યે સકારાત્મક અભિગમ અપનાવ્યો છે.
આંદોલન પહેલાં, અમે એક બેઠક બોલાવી હતી અને ખાતરી આપી હતી કે વાતચીત દ્વારા શક્ય ઉકેલો શોધી શકાય છે. બચ્ચુ કડુ શરૂઆતમાં સંમત થયા હતા, પરંતુ પછીથી જાણ કરી હતી કે તેઓ હાજરી આપી શકશે નહીં, જેના કારણે આ બેઠક રદ કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ પણ કડુનો સંપર્ક કર્યો છે અને માગણીઓ પર ચર્ચા કરવાની સરકારની તૈયારી વ્યક્ત કરી છે, એમ પણ ફડણવીસે જણાવ્યું હતું.
આપણ વાચો: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેર નેતા ગોપીનાથ મુંડેની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કર્યું…
તેમણે (કડુ) અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે જે આંદોલન દ્વારા ઉકેલી શકાતા નથી. વાતચીત પછી જ રોડમેપ બનાવી શકાય છે. તેથી જ અમે તેમને ફરીથી બેઠક માટે આમંત્રણ આપ્યું છે, એમ પણ ફડણવીસે બુધવારે પુણેમાં પત્રકારો સમક્ષ કહ્યું હતું.
‘મારી તેમને અપીલ છે કે તેઓ અમારી સાથે વાત કરવા આવે અને વિક્ષેપ પાડવા કરતાં વાત કરે. આવા આંદોલનોમાં, સ્વાર્થી તત્વો ક્યારેક ઘૂસણખોરી કરે છે અને હિંસા ફેલાવે છે, તેથી આપણે સતર્ક રહેવું જોઈએ. સરકાર ‘રેલ રોકો’ જેવા વિરોધ પ્રદર્શનોને મંજૂરી આપશે નહીં,’ એમ પણ તેમણે કહ્યું હતું.
ખેડૂતોના કલ્યાણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા, ફડણવીસે કહ્યું હતું કે રાજ્યે ખેડૂતો માટે 32,000 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી દીધી છે.
લોન માફીની માગણી બાબતે તેમણે કહ્યું હતું કે, ‘રાજ્ય સરકારે આ મુદ્દાનો અભ્યાસ કરવા માટે એક સમિતિની રચના કરી છે. હાલમાં અમારી પ્રાથમિકતા ભારે વરસાદને કારણે નુકસાન પામેલા ખેડૂતોને મદદ કરવાની છે. અમે ક્યારેય કહ્યું નથી કે અમે કૃષિ લોન માફીની વિરુદ્ધ છીએ.’
‘સરકાર ખેડૂતોને લગતા દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે,’ એમ પણ તેમણે ઉમેર્યું હતું. કડુની પાર્ટીના ખેડૂતો અને કાર્યકરો સહિત હજારો લોકો નાગપુરમાં રોકાયા છે, ‘મહા એલ્ગાર’ મોરચો યોજી રહ્યા છે અને સંપૂર્ણ કૃષિ લોન માફીની માગણી કરી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે બચ્ચુ કડુએ બુધવારે કહ્યું હતું કે છેલ્લા આઠ મહિનાથી, સંપૂર્ણ કૃષિ લોન માફી, ખેડૂતોના ઉત્પાદન માટે યોગ્ય લઘુત્તમ ટેકાના ભાવની માગણી કરી રહ્યા છે, અને ‘દિવ્યાંગ’ અને માછીમારોની વિવિધ માગણીઓ પણ રજૂ કરી છે.
‘જ્યાં સુધી સરકાર અમારી માગણીઓ પર નિર્ણય નહીં લે ત્યાં સુધી આંદોલન બંધ થશે નહીં,’ એમ તેમણે કહ્યું હતું.
બચ્ચુ કડુએ એમ પણ કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પદાધિકારીઓને પણ મળશે.



