મઝગાંવમાં બેસ્ટ બસ અકસ્માતમાં વૃદ્ધાનું મોત

મુંબઈઃ મઝગાંવ વિસ્તારમાં બેસ્ટના બસના થયેલા અકસ્માતમાં એક વરિષ્ઠ વૃદ્ધાનું મોત થયું હતું. બસ ડ્રાઇવરે બેદરકારી રીતે બસ ચલાવતા આજે આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
ભાયખલા પોલીસે બસ ડ્રાઇવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મઝગાંવમાં વૈશાલી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની સામે આ અકસ્માત થયો હતો. આજે સવારે 7.55 કલાકે બનેલી આ ઘટનામાં મૃત્યુ પામેલા વૃદ્ધાની ઓળખ આસ્મા તૈયબ બાલી અન્સારી (86) તરીકે કરાઇ હતી.
આ પણ વાંચો: Killer Bus: બેસ્ટની બસના ૧૨ જીવલેણ અકસ્માતમાંથી ૧૦ કેસમાં ઓલેક્ટ્રાની બસ
બેસ્ટના બસ ડ્રાઇવર દાદુ કૃષ્ણા આગીવાલે (32) બેદરકારી રીતે બસ ચલાવી હોવાનું કહેવાઇ રહ્યું છે. બસ બેક-બે ડેપોથી પ્રબોધનકર ઠાકરે ઉદ્યાન તરફ જઇ રહી હતી. ત્યાંથી આવ્યા બાદ વૃદ્ધા નીચે ઉતર્યા હતા અને બસની સામેથી રસ્તો ઓળંગવા જઇ રહ્યા હતા ત્યારે બસ ચાલુ થઇ જતા તેના આગળના ટાયર નીચે તેઓ આવી ગયા હતા. જખમી થયેલા વૃદ્ધાને જે. જે. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા.