આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સામેના ત્રણ સંકટો પર એકનાથ શિંદેની ચર્ચા

એક તરફ દુકાળ, બીજી તરફ કમોસમી વરસાદ અને ચોમાસાની ચિંતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન લોકસભાની ચૂંટણીના પરિણામોની રાહ જોયા વગર કામે લાગી ગયા છે અને મંગળવારે તેમણે રાજ્યમાં અત્યારે ચાલી રહેલી ત્રણ મોટી સમસ્યાના નિરાકરણ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક બોલાવી હતી, જેમાં રાજ્યની બધી જ મહાનગરપાલિકાઓને થાણે મનપાના ધોરણે તેમની પોતાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ બનાવવાનો આદેશ આપ્યો હતો.

એકનાથ શિંદેએ બેઠક બાદ જણાવ્યું હતું કે આજની (મંગળવાર) બેઠકમાં ત્રણ ગંભીર સમસ્યા પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના અનેક વિસ્તારો દુકાળગ્રસ્ત છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી, બીજી તરફ રાજ્યમાં અનેક સ્થળે કમોસમી વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું તેને કારણે થયેલા નુકસાન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્રીજું અને સૌથી મહત્ત્વનું રાજ્યમાં 10-11 જૂન સુધીમાં ચોમાસાના આગમનની શક્યતા વેધશાળા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેને ધ્યાનમાં લેતાં અનેક ચોમાસા પુર્વેનાં કામ પૂરા કરવાના છે, આખા રાજ્યમાં ઝીરો કેઝ્યુઅલ્ટી મિશન પર સરકાર કામ કરી રહી છે. ચોમાસામાં થનારા વરસાદી રોગનો સામનો કરવાની વ્યૂહ રચના ઘડવામાં આવી રહી છે.

રાજ્યના બધા જ જિલ્લા કલેક્ટરો, ડિવિઝનલ કમિશનરો, સંરક્ષણ દળોના પ્રતિનિધિઓ, રેલવે અને પોલીસની સાથે જ એનડીઆરએફ અને એસડીઆરએફના વડા આ બેઠકમાં હાજર હતા.

પહેલાં રાજ્યના દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી અને ચારાની વ્યવસ્થા કરવા માટે કલેક્ટરો અને અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્યના જે વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે નુકસાન થયું છે તેની આકારણી કરીને વહેલામાં વહેલી તકે તેમને મદદ પહોંચાડવા પર ચર્ચા કરવામાં આવી હતી.

ચોમાસા દરમિયાન પૂર અને ભૂસ્ખલન જેવા બનાવો માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ પહોંચે ત્યાં સુધી મહાનગરપાલિકાની પોતાની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ હોય તો રાહત અને પુનર્વસનના કામમાં ઝડપ આવી શકે એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે થાણે મનપા દ્વારા તૈયાર કરવામાં આવેલી ટીડીઆરએફના ધોરણે રાજ્યમાં દરેક જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ બનાવી શકાય. તેમણે રાજ્યમાં એસડીઆરએફની ટીમની સંખ્યામાં પણ વધારો કરવાનો સંકેત આપ્યો હતો.

તેમણે રાજ્યના બધા જ અધિકારીઓને ગેરકાયદેય હોર્ડિંગો હટાવવાનો આદેશ આપ્યો હતો. મુંબઈ મનપા દ્વારા નિર્ધારિત નિયમાવલી આખા રાજ્યમાં લાગુ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આખા રાજ્યમાં 486 સ્થળને ભૂસ્ખલનના સંભવિત સ્થળો તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા.
ચોમાસામાં આવતા પૂર માટે આંતરરાજ્ય નદીઓ માટે સંકલન સમિતિ ગઠિત કરવામાં આવશે એવી માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે મધ્ય પ્રદેશ, તેલંગણા અને કર્ણાટક રાજ્યની સાથે મળીને આ કામ કરવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે ચોમાસા દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોનો સંપર્ક કપાઈ જાય છે તેમને અનાજનો અને દવાઓનો પુરવઠો કેવી રીતે કરવાનો તેની તૈયારી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તાકીદની સ્થિતિમાં અન્ય રાજ્યોનો સંપર્ક સ્થાપિત કરવા માટે યંત્રણા તૈયાર કરવાનો આદેશ તેમણે આપ્યો હતો. સંકટના સમયે લોકોમાં જાગૃતિ કેવી રીતે ફેલાવી શકાય અને આવી રહેલા સંકટ અંગે તેમને વહેલામાં વહેલી તકે કેવી રીતે જાગૃત કરી શકાય તેના પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં રહેલી જોખમી ઈમારતો અને ભેખડ ધસી પડવાના સંભવિત સ્થળોમાં રહેનારા લોકોને ચોમાસા દરમિયાન સુરક્ષિત સ્થળે ખસેડવા અંગે પગલાં લેવાનો નિર્દેશ પણ અધિકારીઓને આપવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ