ચૂંટણી આવતાં જ તેઓ કહે છે કે મુંબઈ ખતરામાં છે: એકનાથ શિંદેનો ઠાકરે ભાઈઓ પર હુમલો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાયુતિની શિવાજી પાર્કમાં આયોજિત રેલીમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ અને ઉદ્ધવ ઠાકરેની રેલીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ ભાઈઓ પોતાના અસ્તિત્વના ડરથી ભેગા થયા છે. અમે કોઈને જવાબ આપવા માટે આ રેલી યોજી નથી. અમે વિકાસના રાજકારણી છીએ, એમ એકનાથ શિંદેએ આ પ્રસંગે જણાવ્યું હતું.
એકનાથ શિંદેએ વધુમાં કહ્યું હતું કે શિવતીર્થ અને શિવસેનાનો અતૂટ સંબંધ છે. મહાયુતિનો અતૂટ સંબંધ છે. સામે બાળાસાહેબનું સ્મારક સ્થળ છે. પાછળ આપણને બંધારણ આપનાર બાબાસાહેબની ચૈત્યભૂમિ છે. બાજુમાં સાવરકર સ્મારક છે. આ ત્રણ મહાપુરુષોની સાક્ષીમાં આ બેઠક યોજાઈ રહી છે. શિંદેએ એમ પણ કહ્યું હતું કે આ શિવતીર્થ પર કોઈ પ્રચાર સભા નથી, પરંતુ પરિવર્તનની શરૂઆત છે.
તેમની પાસે કોઈ મુદ્દો નથી. અમારી સભા કોઈને જવાબ આપવા માટે નથી. તેના બદલે, આ મહાયુતિ દ્વારા છેલ્લા સાડા ત્રણ વર્ષમાં કરવામાં આવેલા કામનો હિસાબ લેવાની અને આગામી પાંચ વર્ષમાં આપણે શું કરવાના છીએ તે કહેવાની તક છે. હવે લોકો વિકાસની રાજનીતિની અપેક્ષા રાખે છે, ભાવનાની નહીં, એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.
વિકસિત ભારત બાળાસાહેબનું સ્વપ્ન હતું. અમે તેને પૂર્ણ કરી રહ્યા છીએ. મુંબઈ દેશની આર્થિક રાજનીતિ છે. અમે નક્કી કર્યું છે કે તે આર્થિક રાજધાની જેવું દેખાવું જોઈએ. એકનાથ શિંદેએ એમ પણ કહ્યું કે અમે બાળાસાહેબના વિચારો અને મોદીના વિઝન સાથે આગળ વધી રહ્યા છીએ. અમે મુંબઈના વિકાસ માટે કામ કરી રહ્યા છીએ. હવેથી ફક્ત વિકાસ, વિકાસ અને વિકાસ જ એજન્ડા છે. કેટલાક લોકો ચૂંટણી આવે ત્યારે મરાઠી લોકોને યાદ કરે છે. બાકીના સમયે તેમની તરફ જોતા પણ નથી. તેમને મરાઠીઓ માટે કશું કરવાનું મન થતું નથી.
એકનાથ શિંદેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેઓ નેટફ્લિક્સ આખો સમય ચાલુ રહે છે અને ચૂંટણી આવે ત્યારે પોલિટિક્સ (રાજકારણ) પર આવી જાય છે.



