આમચી મુંબઈ

એકનાથ શિંદેએ માર્યા એક કાંકરે છ પક્ષી

મરાઠા આરક્ષણ: જરાંગેના પારણાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના રાજકારણમાં ભારે ચકચાર જગાવનારા મરાઠા સમાજના અનામત માટેના આંદોલનનું કોકડું ઉકેલવામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને શનિવારે સફળતા મળી હતી અને તેમાં એક કાંકરે તેમણે છ પક્ષી મારીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે ‘અનાયાસે’ નથી બેઠા પરંતુ ક્ષમતાને જોરે બેઠા છે એવું સિદ્ધ કર્યું હતું. પાંચ દાયકાની પડતર માગણીને સંતોષીને તેમણે અનેક દિગ્ગજ નેતા પર સરસાઈ મેળવી છે.

મનોજ જરાંગે-પાટીલ મરાઠા અનામત માટે આક્રમક રીતે મેદાનમાં આવ્યા ત્યારથી જ એવું માનવામાં આવી રહ્યું છે કે એનસીપીના સ્થાપક શરદ પવારનો તેમના માથા પર હાથ છે અને તેથી આ કોકડું ઉકેલાશે નહીં, પરંતુ સરકારના પતનનું કારણ બનશે. એકનાથ શિંદેએ કોઈ રીતે અને કોઈનાથી માની ન શકનારા મનોજ જરાંગે-પાટીલને મનાવીને મરાઠા સમાજમાં ‘મરાઠા સ્ટ્રોન્ગમેન’ કરતાં પોતાનું કદ વધારી નાખ્યું છે.

મનોજ જરાંગે-પાટીલના આંદોલનમાં ખાસ કરીને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. આ અગાઉ મરાઠા સમાજને આરક્ષણ આપવા છતાં મરાઠા સમાજના નિશાન પર રહેલા ફડણવીસે પોતાના સંકટમોચક ગણાતા ગિરીશ મહાજનને અનેક વખત વિષ્ટિ કરવા મોકલ્યા હતા, પરંતુ મરાઠા આંદોલનકારીઓએ મચક આપી નહોતી અને શિંદેના એક અવાજે આંદોલન પાછું ખેંચી લેવામાં આવ્યું અને આમ ફડણવીસ પર પણ એકનાથ શિંદેએ પોતાની સરસાઈ સિદ્ધ કરી હતી.

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પોતે પણ મરાઠા સમાજના હોવા છતાં મરાઠા સમાજને આરક્ષણ પાછું ખેંચી લેવા માટે સમજાવવામાં તેઓ નિષ્ફળ ગયા હતા. એક તબક્કે અજિત પવારે એવું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ મરાઠા સમાજ પર પકડ ધરાવે છે એટલે તેમને સંધિ કરવાની તક મળવી જોઈએ, પરંતુ મનોજ જરાંગે-પાટીલે જે રીતે અજિત પવારને હડધુત કર્યા હતા અને એકનાથ શિંદેના એક અવાજે માની ગયા હતા તેને શિંદેની મોટી જીત તરીકે જોવામાં આવે છે. આમ મરાઠા સમાજમાં શરદ પવાર અને અજિત પવાર બંને કરતાં પોતાનું મહત્ત્વ વધુ સિદ્ધ કરવામાં તેઓ સફળ થયા હતા.

મહારાષ્ટ્રના ત્રણ મોટા રાજકીય નેતાઓને હંફાવીને દાયકાઓ જૂનો પ્રશ્ર્ન ઉકેલીને તેમણે ભાજપના મોવડીમંડળને પણ એક મોટો સંદેશ આપ્યો છે કે તેમને રાજકીય બાબતોમાં અવગણી શકાય તેમ નથી.

મોરચાને મુંબઈ આવતો રોકીને તેમણે પોતાની તાકાત દર્શાવી આપી હતી. દેવેન્દ્ર ફડણવીસના ખાસ માનવામાં આવતા ગુણરત્ન સદાવર્તેએ મુંબઈ હાઈ કોર્ટમાં પિટિશન કરીને મરાઠા મોરચો મુંબઈમાં આવે અને તેને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સર્જાય તો મરાઠા સમાજને મુશ્કેલીમાં મૂકી શકાય એવો પેંતરો ઘડ્યો હતો, પરંતુ મોરચાને મુંબઈમાં આવવા ન દઈને તેમ જ વાશીમાં ભવ્ય ઉજવણી કરવાની વ્યવસ્થા કરીને એકનાથ શિંદેએ ફડણવીસના પેંતરાને નિષ્ફળ બનાવ્યો હતો.

મરાઠા સમાજને આરક્ષણ આપવાના તેમના મહત્ત્વના નિર્ણય બાદ રાજ્યના વિરોધપક્ષો કૉંગ્રેસ અને એનસીપીના મરાઠા નેતાઓએ પણ એકનાથ શિંદેની ખુલા મોંએ પ્રશંસા કરી છે અને આમ તેમનું રાજ્યના રાજકારણમાં કદ ઘણું વધી ગયું છે. આમ અત્યારે તો કહેવાતા શરદ પવારના મરાઠા અનામતના બાબરા ભૂતને કાબુમાં કરીને એકનાથ શિંદેએ પોતે સિદ્ધરાજ જયસિંહ હોવાનું સિદ્ધ કર્યું છે.

સરકારે કઈ કઈ માગણી સ્વીકારી?
નોંધ મળી હોય તે બધા જ લોકોના પરિવારને કુણબી પ્રમાણપત્ર મળવું જોઈએ. એટલે કે એક જ નોંધ પર પાંચ સંબંધીને પ્રમાણપત્ર મળી શકશે, પરંતુ આને માટે તેમણે અરજી કરવી પડશે. આ જોગવાઈથી બે કરોડ મરાઠા ઓબીસીમાં જશે. હવે ૫૪ લાખ નહીં, ૫૭ લાખ નોંધ મળી છે. તેમ જ અત્યાર સુધીમાં ૩૭ લાખ લોકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું અને તેનો ડેટા મનોજ જરાંગે પાટીલે માગ્યો હતો તે માગણી પણ સ્વીકારવામાં આવી છે. શિંદે સમિતિ રદ કરવી નહીં એવી માગણી પણ સ્વીકારવામાં આવી હતી. સરકારે સમિતિની મુદત બે મહિના લંબાવી આપી અને સમિતિની મુદત આગામી દિવસોમાં તબક્કાવાર વધારી આપવામાં આવશે એવું માન્ય કર્યું. સગાસંબંધીઓ (સગેસોયરે)ને પ્રમાણપત્ર મળવા જોઈએ નહીં તો સંબંધીઓને ફાયદો થશે નહીં. જે મહારાષ્ટ્રના
મરાઠાઓ પાસે નોંધ નથી તેમણે એફિડેવિટ કરીને આપવાની છે. તેમની એફિડેવિટને આધારે તેમને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ એફિડેવિટ રૂ. ૧૦૦ના સ્ટેમ્પ પેપરને બદલે નિ:શુલ્ક આપવાનું પણ માન્ય રાખવામાં આવ્યું છે.

ક્યુરેટિવ પિટિશનનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે તે આરક્ષણ મળે નહીં ત્યાં સુધી અને સગાસંબંધીઓમાં એકાદી વ્યક્તિ બાકી રહે એવી સ્થિતિ સર્જાઈ શકે એમ હોવાથી મરાઠા સમાજના બધા લોકોને ૧૦૦ ટકા મફત શિક્ષણ આપવું એવી માગણી માન્ય રાખવામાં આવી હતી.

સરકારી ભરતી આરક્ષણ મળે નહીં ત્યાં સુધી કરવાની નહીં અને કરવામાં આવે તો મરાઠા અનામત રાખીને ભરતી કરવી એવી માગણી માન્ય રહાખવામાં આવી હતી.

આંતરવલી-સરાટી સહિત મહારાષ્ટ્રમાં નોંધાયેલા બધા જ ગુના માફ કરવા માટે ગૃહવિભાગ તરફથી પત્ર મળ્યો નહોતો તે પત્ર જરાંગેએ માગ્યો હતો તે પણ હવે મળશે એવું કહેવામાં આવ્યું હતું.

મરાઠા આરક્ષણની જાહેરાત ગેરમાર્ગે દોરનારી: નિષ્ણાત
પુણે: મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મરાઠા આંદોલનકારી મનોજ જરાંગે પાટીલની માંગણીઓ અને મરાઠા સમુદાયને અનામત આપવાની ઓચિંતી જાહેરાત કર્યા પછી અને ઓબીસી નેતાઓએ તેનો વિરોધ કર્યા પછી, બંધારણીય નિષ્ણાતો હવે આશંકિત છે . બંધારણના નિષ્ણાત ઉલ્હાસ બાપટે કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા કહેવાયું કે ઓબીસી અનામતને આંચ આવ્યા વિના ૫૦ ટકા અનામતની અંદર જ, કાયદામાં ફિટ થાય અને કોર્ટમાં ટકી રહે, તેવી અનામત અપાશે તે લોકોને ગેરમાર્ગે દોરવા બરાબર છે. માટે તેમનો પ્રત્યેક શબ્દમેં લખી રાખ્યો છે. આ લડાઈ સુપ્રીમ કોર્ટમાં જશે અને ભવિષ્યનો નિર્ણય ત્યાં જ થશે. તે ટકશે કે નહીં તે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે
બાપટે કહ્યું કે મરાઠા સમાજને
આરક્ષણ મળ્યું એ લોકશાહીની જીત છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય પછાત વર્ગ આયોગ માટે સમુદાય પછાત છે કે કેમ તે નક્કી કરવા માટે ટ્રિપલ ટેસ્ટ કરાવવાનું ફરજિયાત બનાવ્યું છે. તે નિયમનો અમલ કરવાની જરૂર છે. મરાઠા સમાજ ૮૦ થી ૯૦ ટકા પછાત છે
ઉલ્હાસ બાપટે વધુમાં કહ્યું કે જો કે એ વાત સાચી છે કે મરાઠા સમુદાય ૮૦ થી ૯૦ ટકા પછાત છે, પરંતુ ક્રિમીલરની વ્યાખ્યા કરવામાં આવી નથી. આરક્ષણ બે રીતે કરી શકાય છે. એક ધારાસભા કરે છે અને સુધારો કરીને વધારે છે, જે ૨૦૩૦ માં થશે. કલમ ૧૫ અને ૧૬ નોકરીઓ અને શિક્ષણ સાથે સંબંધિત છે. એ સમજવું પડશે કે અનામત એ એક સુવિધા છે, તે મૂળભૂત અધિકાર નથી.
તેમણે વધુમાં કહ્યું કે હાલમાં ૫૦ ટકા પર અનામત આપી શકાય નહીં. જો તેમાં ફેરફાર કરવો હોય તો તે ૧૧ જજોની બંધારણીય બેંચ દ્વારા કરવામાં આવે. કાયદો કહે છે કે કોઈપણ સમુદાયને પછાત તરીકે અનામત આપતી વખતે, ટ્રિપલ ટેસ્ટ અને બેકવર્ડ ક્લાસ કમિશન, પ્રયોગમૂલક ડેટા છે અને તે ૫૦ ટકાથી ઉપર ન જવું જોઈએ. તેથી, આપણે જોવું પડશે કે પ્રમાણપત્રમાં આપેલ અનામત બંધબેસે છે કે કેમ.

સાથે જ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે જે આપ્યું છે તે આપી શકાય તેમ નથી, અને આગળ સુપ્રીમ કોર્ટમાં જઈને તેને રદ કરવામાં આવશે. તેથી ૫૦ ટકાની અંદર ઓબીસી અને મરાઠા પછાતને અનામત પુરવાર કરવી પડશે. જરાગે એ જ મુદ્દો ઉઠાવ્યો હતો કે ’અમે પછાત, ઓબીસીમાંથી અનામત આપો’ તેવી માંગણી કરી હતી, તેથી વિવાદ શરૂ થયો. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્ણય છતાં હાઈકોર્ટે ૨૦૧૮માં મરાઠા આરક્ષણને કેવી રીતે સ્વીકાર્યું તે સમજાતું નથી.

અનામત આપતી પછાત પંચે તે પછાત સાબિત કરવું પડે, તાજો ડેટા આપવો જોઈએ. બધા પાસે એક સરખો હોવો જોઈએ તો જ તે સુપ્રીમ કોર્ટમાં ટકી શકે. હવે આગળ લોકો નક્કી સુપ્રીમ કોર્ટમાં જશે, ત્યારે ત્યાં શું થાય છે તે મહત્વનું છે.

ઓબીસીએ ગભરાવાની જરૂર નથી: ફડણવીસ
મુંબઈ: આંદોલનકારી મનોજ જરાંગેની મરાઠા આરક્ષણ બાબતે કરવામાં આવેલી ઝુંબેશના સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અંગે ઓબીસીએ ગભરાઈ જવાની જરાય જરૂર નથી એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું. એ ઉપરાંત કુણબી પ્રમાણપત્ર જારી કરવા સંદર્ભે છગન ભુજબળે કરેલી કોમેન્ટ બાબતે તેમને ટપાર્યા હતા. મનોજ જરાંગેની સર્વ માંગણીઓ સ્વીકારવામાં આવી છે એવી રજૂઆત સરકાર તરફથી કરવામાં આવતા જરાંગેએ ઉપવાસ છોડ્યા
હતા. મરાઠાઓને આરક્ષણ નહીં મળે ત્યાં સુધી અન્ય પછાત જાતિના લોકોને મળે છે એ જ લાભ મરાઠાઓને આપવામાં આવશે એવી ઘોષણા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી હતી. જે મરાઠાઓના કુણબી હોવાના પ્રમાણપત્રો મળ્યા છે તેમની સાથે લોહીની સગાઈ ધરાવતા લોકોને કુણબી તરીકેની માન્યતા આપવાની જાહેરાત એક નોટિફિકેશન દ્વારા સરકારે કરી હતી.

સંવાદદાતાઓ સાથે નાગપુરમાં વાતચીત કરતી વખતે ફડણવીસે જણાવ્યું હતું કે ’ઓબીસીએ નોટિફિકેશનથી ગભરાઈ જવાની જરૂર નથી, તેમની સાથે કોઈ પણ પ્રકારના અન્યાય નહીં થાય. મારે ભુજબળને કહેવું છે કે જે લોકો કુણબી હોવાના પ્રમાણપત્ર નહીં આપી શકે તેમને કુણબી સર્ટિફિકેટ નહીં આપવામાં આવે.’ (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો