આનંદાચા શિધા જ નહીં, આઠ યોજના રાજ્ય સરકારે બંધ કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: લાડકી બહિણ યોજના રાજ્ય સરકારની તિજોરી પર દબાણ લાવી રહી છે અને સરકારના ઘણા પ્રધાનોએ ઘણીવાર એવો દાવો કર્યો છે કે ઘણા વિભાગોના ભંડોળ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં વાળવામાં આવી રહ્યા છે.
સામાજિક ન્યાય ખાતાના પ્રધાન સંજય શિરસાટે પણ આ અંગે સરકાર પ્રત્યે જાહેરમાં નારાજી વ્યક્ત કરી હતી. તેવી જ રીતે, રાજ્યમાં મહાયુતિ સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલાં ગરીબો અને ખેડૂતો માટે શરૂ કરાયેલી ઘણી યોજનાઓ અત્યારે બંધ પડી હોવાની ફરિયાદો સતત સાંભળવા મળી રહી છે.
આપણ વાંચો: લાડકી બહિણ યોજનાનો ફટકો: ગણેશોત્સવમાં નહીં મળે ‘આનંદાચા શિધા’, શિવ ભોજન થાળી પણ બંધ થશે?
ભંડોળના અભાવે ઘણી યોજનાઓ અટકી પડી છે, ત્યારે વિપક્ષ વર્તમાન નાયબ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મહત્વાકાંક્ષી ‘આનંદાચા શિધા’ યોજના બંધ કરી હોવાના મુદ્દે સરકારને મૂંઝવણમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આ દરમિયાન, શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ એકનાથ શિંદે મુખ્યપ્રધાન હતા ત્યારે સરકારે શરૂ કરેલી આઠ યોજનાઓની યાદી જાહેર કરી છે, જેને હવે બંધ કરી નાખવામાં આવી છે. દાનવેએ એવો દાવો કર્યો છે કે આ યોજનાઓ હવે બંધ થઈ ગઈ છે.
આપણ વાંચો: ગણેશોત્સવમાં મળશે ‘આનંદાચા શિધા’: એકનાથ શિંદેનો મોટો નિર્ણય
એકનાથ શિંદેની આ યોજનાઓ બંધ છે.
- આનંદાચા શિધા યોજના (તહેવારોમાં ગરીબોને આપવામાં આવતું સીધું)- બંધ!
- માઝી સુંદર શાળા યોજના (રાજ્યની સ્કૂલોને સુંદર કરવાની યોજના)- બંધ!
- 1 રૂપિયામાં પાક વીમા યોજના – બંધ!
- સ્વચ્છતા મોનિટર યોજના – બંધ!
- 1 રાજ્ય 1 ગણવેશ યોજના – બંધ!
- લડક્યા ભાવાલા એપ્રેન્ટિસશીપ (ઉદ્યોગોમાં યુવાનોને એપ્રેન્ટિસશીપ આપવાની યોજના) – બંધ!
- યોજનાદૂત યોજના – બંધ!
- મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજના (સિનિયર સિટિઝનને તીર્થ યાત્રા માટે સબ્સિડી આપવાની યોજના) – બંધ!