આમચી મુંબઈ

દુર્ગાડી કિલ્લાની તળેટીમાં ઈદ ઉલ-અઝાનીન માઝ વખતે શિવસૈનિકો ભેગા થતાં તંગદિલી

થાણે: કલ્યાણના દુર્ગાડી કિલ્લા પરિસરમાં શિવસેનાનાં બન્ને જૂથના કાર્યકરોએ ભેગા થઈ દેખાવ કરતાં શનિવારની સવારે તંગદિલીભર્યું વાતાવરણ નિર્માણ થયું હતું. કિલ્લાની તળેટીમાં ઈદ ઉલ-અઝાની નમાઝ વખતે શિવસૈનિકોએ ડુંગરની ટોચે આવેલા દુર્ગામાતાના મંદિરમાં જવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે વિવાદ થયો હતો.

પ્રતિબંધાત્મક આદેશનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસે અનેક શિવસૈનિકોને તાબામાં લીધા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના કાર્યકરો શનિવારની સવારે અલગ અલગ સમયે કિલ્લાની તળેટીમાં ભેગા થયા હતા અને ઘંટારવ કરી વિરોધ દર્શાવ્યો હતો. મંદિરમાં જવાનો માર્ગ મોકળો કરવાની માગણી તેમણે કરી હતી.



બન્ને જૂથના કાર્યકરો શિવાજી ચોકમાં એકઠા થયા હતા અને ‘દુર્ગાડી કિલ્લાની મુક્તિ’ની માગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે સતર્કતાના પગલા રૂપે લાલ ચોકી અને દુર્ગાડી કિલ્લા ફરતે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને બેરિકેડ્ટ પણ ગોઠવી દીધી હતી.

એકઠા થયેલા શિવસૈનિકોએ બેરિકેડ્સ કુદાવીને કિલ્લા તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કોર્ડન તોડવાનો વારંવાર પ્રયાસ કરાયો હતો. શિવસૈનિકોએ બેરિકેડ્સ હટાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે તેમને રોક્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.



કિલ્લા તરફ જતાં રોકવામાં આવ્યા પછી દેખાવકારોએ લાલ ચોકી ખાતે આરતી કરી હતી. વાત વણસતી જોઈ કોઈ અનિચ્છનીય બનાવ ટાળવા પોલીસે અનેક કાર્યકરોને તાબામાં લીધા હતા. કિલ્લો બંધ કરવામાં આવ્યો હતો અને વાહનો અન્યત્ર વાળવામાં આવ્યાં હતાં.

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button