આમચી મુંબઈ

નિવૃત અધિકારીને પદ પર ચાલુ રાખવા સામે સુધરાઈના ઉચ્ચ અધિકારીઓમાં અસંતોષ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિવૃત અધિકારી ચંદ્રશેખર ચોરેને તેમના કેડરના જ પદ પર ચાલુ રાખવા સામે સંયુક્ત રીતે વિરોધ કરવામાં આવ્યો છે. પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને લખેલા પત્રમાં આ અધિકારીઓએ દલીલ કરી હતી કે ચોરે નિવૃત થયા બાદ એ પદ ખાલી રાખવાથી આસિસ્ટન્ટથી લઈને ડેપ્યુટી કમિશનર સુધીના અધિકારીઓનું પ્રમોશન અટકી ગયું છે. લાયક ઉમેદવારોમાં અન્યાયની ભાવના જાગી છે. પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ સામૂહિક રીતે નોંધાવેલા વિરોધને કારણે પાલિકામાં ચર્ચાએ જોર પકડયું છે.

ચંદ્રશેખર ચોરે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (કમિશનર ઓફિસ) પદથી નિવૃત થયા હતા પણ તેમનો કાર્યકાળ બીજા એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો, જે આવતા મહિને પૂરો થવાનો છે. તેમનો કાર્યકાળ લંબાવી દેવામાં આવતા અનેક વરિષ્ઠ અધિકારીઓ નારાજ થઈ ગયા હતા, કારણકે આમાંથી અનેક અધિકારીઓ પ્રમોશનને ઉત્સુક હતા. ડેપ્યુટી અને જોઈન્ટ કમિશનર સહિત ૧૭ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સહી કરાયેલા પત્રમાં જણાવ્યું હતું કે આ પદ છેલ્લા બે વર્ષથી ખઆલી છે અને તેને ડેપ્યુટી કમિશનર, જોઈન્ટ કમિશનર અથવા આસિસ્ટન્ટ કમિશનરના રેન્કમાંથી તાત્કાલિક ભરવી જોઈએ.

અધિકારીઓએ કમિશનર ભૂષણ ગગરાણીને પત્રમાં એવું લખ્યું છે કે તેમના કેડરની જગ્યા બહારની વ્યક્તિ દ્વારા ભરવાને કારણે આસિસ્ટન્ટથી લઈને ડેપ્યુટી કમિશનર સુધીના પ્રમોશન અટકી ગયા છે. અનેક અનુભવી અને લાયક અધિકારીઓ તેમને પ્રમોશન મળે તેની રાહ જોઈ રહ્યા છે. વિલંબને કારણે આસિસ્ટન્ટ કમિશનરોમાં નારાજગી વ્યાપી છે. તેથી તાત્કાલિક ધોરણે ડેપ્યુટી કમિશનર અને એડિશનલ કમિશનર કેડરમાંથી તાત્કાલિક આ પદ ભરવું જોઈએ. કમિશનર ભૂષણ ગગરાણીએ જોકે મુદ્દે કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનું ટાળ્યું હતું.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button